માનવતાએ ધર્મની દીવાલો તોડી:હિંદુ મહિલાએ મુસ્લિમ દર્દીને અને મુસ્લિમ મહિલાએ હિંદુ દર્દીને કિડની દાનમાં આપી

📅 Published: August 19, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના ગુરુકુળ સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલે પોતાનું પ્રથમ સફળ ‘કિડની સ્વૈપ ટ્રાન્સપ્લાન્ટ’ કરીને મેડિકલ લેવલે એક મોટું કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ અનોખા ટ્રાન્સપ્લાન્ટમાં એક હિંદુ મહિલાએ મુસ્લિમ દર્દીને પોતાની કિડની દાન કરી હતી. જ્યારે એક મુસ્લિમ મહિલાએ હિંદુ દર્દીને પોતાની કિડની દાન કરી. તબીબી રીતે પોતાના પરિવારજનોને સીધી કિડની આપી શકાય તેમ ન હોવાથી, યોગ્ય મેચિંગ બાદ બંને પરિવારો એકબીજાની મદદ માટે આગળ આવ્યા અને જીવન બચાવવાના આ માનવતાભર્યા નિર્ણયને સ્વીકાર્યો. બીજી ખાસ વાત એ હતી કે આ સર્જરી કરનાર ડોક્ટર પણ એક હિન્દુ ડૉ. સોનલ દલાલ અને એક મુસ્લિમ ડૉ. જાવેદ વકીલ હતા. આ ઐતિહાસિક પ્રોસેસમાં કિડનીની ગંભીર બીમારીથી પીડાતા બે દર્દી સામેલ હતા, જેમના પોતાના પરિવારના સભ્યો મેડિકલ ઈનકોમ્પેટીબિલીટીને કારણે સીધી રીતે કિડની દાન કરી શકતા ન હતા. અમદાવાદના 45 વર્ષીય હિન્દુ પુરુષ અને ઉદયપુરના 42 વર્ષીય મુસ્લિમ પુરુષ બંનેને કિડનીની જરૂરિયાત હતી. ડોક્ટરોની ટીમે સ્કેન અને રિપોર્ટ્સની ચકાસણી કર્યા બાદ જાણવા મળ્યું કે પ્રથમ દર્દીના પરિવારના દાતા બીજા દર્દી માટે અને બીજા દર્દીના પરિવારના દાતા પ્રથમ દર્દી માટે યોગ્ય મેચ થાય છે. બંને પરિવારોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને તેઓ આ સ્વૈપ ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર થયા હતા. 8 જુલાઈએ એકસાથે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ
આ જટિલ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી 8 જુલાઈના રોજ એકસાથે કરવામાં આવી હતી. ડો. સોનલ દલાલ, ડો. જાવેદ વકીલ, ડો. અપૂર્વ પારેખ, ડો. કેતન શુક્લા અને ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર રાહુલ શાહની આગેવાની હેઠળની મલ્ટીડિસિપ્લિનરી તબીબી ટીમે આ સર્જરીને સફળ બનાવી હતી. સર્જરી બાદ બંને દર્દીઓ અને દાન આપનાર મહિલાઓની તબિયતમાં ઝડપી સુધારો જોવા મળ્યો હતો. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ બંને દર્દીઓને 18 જુલાઈના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ટ્રાન્સપ્લાન્ટ બાદ બંને દર્દીઓની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. હોસ્પિટલમાંથી રજા આપતી વખતે બંને દર્દીઓના સીરમ ક્રિએટિનિનનું સ્તર અનુક્રમે 1.26 mg/dL અને 1.30 mg/dL હતું, જે નવી કિડનીની સારી કામગીરી દર્શાવે છે. બંને દાતાઓ પણ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ 18 જુલાઈ, 2026ના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સ્ટર્લિંગ હોસ્પિટલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સંતોષ મરાઠે, ગ્રુપ મેડિકલ ડિરેક્ટર ડો. પ્રસાદ મુગલીકર અને ક્લિનિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. સુધીર મોરાડે આ સફળતા બદલ ડૉક્ટરોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. હોસ્પિટલના વડાઓએ જણાવ્યું હતું કે, જ્યારે હેતુ કોઈનો જીવ બચાવવાનો હોય ત્યારે માનવતા દરેક સરહદો અને ધર્મોથી પર થઈ જાય છે. આ સફળ ટ્રાન્સપ્લાન્ટ એવા અનેક દર્દીઓ માટે આશાનું નવું કિરણ લઈને આવ્યું છે જેઓ યોગ્ય દાતાના અભાવે મુશ્કેલી ભોગવી રહ્યા છે. ડો. પ્રસાદ મુગલીકર (ગ્રુપ મેડિકલ ડિરેક્ટર, સ્ટર્લિંગ હોસ્પિટલ્સ) એ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક સિદ્ધિ એડવાન્સ્ડ ટ્રાન્સપ્લાન્ટ કેર, ક્લિનિકલ એક્સેલન્સ અને દર્દીની શ્રેષ્ઠ સંભાળ પ્રત્યેની સ્ટર્લિંગ હોસ્પિટલની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે. આ ઘટના એ વાતનું પણ એક શક્તિશાળી ઉદાહરણ છે કે જ્યારે ધ્યેય કોઈનો જીવ બચાવવાનો હોય, ત્યારે માનવતા દરેક સીમાઓને પાર કરી શકે છે. ડો. સુધીર મોરાડે (ક્લિનિકલ સુપરિન્ટેન્ડેન્ટ, સ્ટર્લિંગ હોસ્પિટલ) એ જણાવ્યું હતું કે, આ સિદ્ધિ માત્ર તબીબી ઉત્કૃષ્ટતા જ નહીં, પરંતુ બંને પરિવારો દ્વારા દર્શાવવામાં આવેલી કરુણા, વિશ્વાસ અને સંવાદિતાને પણ દર્શાવે છે. જ્યારે સીધું દાન શક્ય ન હોય ત્યારે કિડની સ્વૈપ આશાનું નવું કિરણ આપે છે. દર્દી-કેન્દ્રિત અભિગમ સાથે આધુનિક તબીબી કૌશલ્યનો ઉપયોગ કરીને લોકોના જીવ બચાવવામાં મદદ કરવાનો અમને ગર્વ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *