ગોધરામાં રહેતા આચાર્યના અમદાવાદમાં બે મિત્રો બન્યા હતા. આ બંને મિત્રોએ આચાર્યને વિશ્વાસ અપાવી તેમના નામે પૈસાની જરૂર હોવાનું કહીને 18.98 લાખની લોન લીધી હતી. આચાર્યના નામે ક્રેડિટ કાર્ડ લઈને 5 લાખ વાપરી દીધા હતા. આચાર્યને આ રકમ પરત ન આપતા આચાર્યએ 23.98 લાખની છેતરપિંડી મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે. ડોક્યુમેન્ટની નકલ મેળવીને ક્રેડિટ કાર્ડ લીધા અને 5 લાખ વાપરી નાખ્યા
ગોધરામાં રહેતા અને આદર્શ નિવાસી સ્કૂલમાં આચાર્ય તરીકે નોકરી કરતા ચિરાગ શુક્લે વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ વર્ષ 2018માં મોબાઈલ ફોન લેવા માટે ઘાટલોડિયામાં સમૃદ્ધિ મોબાઇલની દુકાને આપ્યા હતા, જ્યાં તેમનો સંપર્ક દુકાનના માલિક અર્પણાસિંગ સાથે થયો હતો. અર્પણાસિંગ દ્વારા હિતેન શાહ સાથે પણ તેમનો પરિચય થયો હતો. બંને સાથે ચિરાગભાઈની મિત્રતા થઈ હતી. તેઓ અવારનવાર અમદાવાદ આવતા ત્યારે એકબીજાને મળતા હતા. 2024થી 2026 દરમિયાન અર્પણાસિંગ અને હિતેને ચિરાગભાઈને અલગ અલગ ક્રેડિટ કાર્ડ અને લોન પ્રોસેસ કરી આપવાનું કહી તેમના ડોક્યુમેન્ટની નકલ મેળવીને ચિરાગભાઈના નામે 15 જેટલા ક્રેડિટ કાર્ડ લીધા હતા. ક્રેડિટ કાર્ડમાંથી 5 લાખની રકમ તેમણે વાપરી કાઢી હતી. 24 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ
જે બાદ ચિરાગભાઈના નામે 22.50 લાખ રૂપિયાની લોન લીધી હતી. જેમાંથી કેટલીક રકમ ચિરાગભાઈ હપ્તામાં ભરી હતી. બાકીની રકમ તેમના ખાતામાં હતી. અર્પણ સિંગ અને હિતેને ચિરાગભાઈને વિશ્વાસમાં લઈને તેમના ખાતામાંથી 18.98 લાખ રૂપિયા ઓનલાઇન મેળવી લીધા હતા. આ તમામ રકમ પરત ના આપતા ચિરાગભાઈએ તેમના નામના ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવી દીધા હતા. આ બંનેએ ચિરાગભાઈ સાથે કુલ 23.98 લાખ રૂપિયાની છેતરપિંડી કરતા ચિરાગભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મિત્રના નામે 19 લાખની લોન લઈને બારોબર ક્રેડિટ-કાર્ડ ઘસી દીધું:ગોધરાની સ્કૂલના આચાર્યના મિત્રોએ ક્રેડિટ કાર્ડમાંથી 5 લાખ વાપરી નાખ્યા, 24 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
