મોરબી તાલુકાના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની ઇમારત જૂની અને ખરાબ હાલતમાં છે. ફરી એકવાર તેની છતમાંથી પોપડા પડ્યા હતા. જોકે, તે સમયે ગ્રામ પંચાયત કચેરીમાં કોઈ હાજર ન હોવાથી કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. આ ઘટનામાં ઓફિસમાં રાખવામાં આવેલા ફર્નિચરમાં નુકસાન થયું છે. આ માહિતી ગ્રામ પંચાયતના સભ્ય પાસેથી મળી છે. ખારચીયા ગ્રામ પંચાયતના સભ્ય અને કોંગ્રેસના નેતા સુરપાલસિંહ જાડેજાએ છ મહિના પહેલા નવી ઇમારત બનાવવા માટે રજૂઆત કરી હતી. તેમ છતાં, આ રજૂઆતને ધ્યાનમાં લેવાઈ નથી અને નવી ઇમારત બની નથી. આ ગ્રામ પંચાયતમાં અગાઉ પણ છતમાંથી પોપડા પડ્યા હતા. આ કારણે હવે જ્યારે પણ ગ્રામસભાનું આયોજન થાય છે, ત્યારે ગામમાં આવેલા રામજી મંદિરમાં ગ્રામસભા રાખવી પડે છે. ફરી એકવાર છતમાંથી પોપડા પડ્યા ત્યારે ઓફિસમાં ટેબલ અને ખુરશીને નુકસાન થયું હતું. આગામી સમયમાં જો ગ્રામ પંચાયત ઓફિસમાં બેઠેલા અધિકારી, કર્મચારી કે કામ માટે આવેલા કોઈ નાગરિકને છતમાંથી પોપડા પડવાથી ઈજા થાય કે ગંભીર અકસ્માત થાય, તો તેના માટે કોણ જવાબદાર રહેશે તેવો સવાલ ઊભો થયો છે.
મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડ્યા:ફર્નિચરમાં નુકશાન થયું, 6 મહિના પહેલા નવી ઇમારત બનાવવા રજૂઆત કરાઈ હતી
📅 Published: September 8, 2026 |
📂 Category: gujarati-news
