મોરબીમાં આંગડિયા વેપારી સાથે 60.63 લાખની છેતરપિંડી:વિશ્વાસ કેળવી રાજકોટથી રકમ ઉપાડી, બે સામે ફરિયાદ નોંધાઈ.

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

મોરબીમાં રવાપર ચોકડી પાસે આવેલી શ્રીજી આંગડિયા પેઢીના સંચાલક સાથે રૂ. 60,63,400 ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે આ મામલે બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ જામનગર જિલ્લાના કેસીયા ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર નીતિન સોસાયટીમાં રહેતા 45 વર્ષીય વિપુલભાઈ મોતીભાઈ ગોધાણી, જે આંગડિયા પેઢીનો વ્યવસાય કરે છે, તેમણે ફરિયાદ નોંધાવી છે. તેમણે મોરબીના શક્તનાળાના જયરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ અને મોરબીના નિમેષભાઈ આચાર્ય વિરુદ્ધ આરોપ લગાવ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓએ અગાઉ ફરિયાદીની આંગડિયા પેઢી મારફતે અનેકવાર વ્યવહારો કરીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ, આરોપીઓએ તેમના સાથીદારો સાથે કાવતરું રચી ફરિયાદી પાસેથી રાજકોટ ખાતે આવેલી શ્રીજી આંગડિયા પેઢીમાં રૂ. 60,63,400 નું આંગડિયું કરાવ્યું હતું. આ રકમ આરોપી નિમેષ દ્વારા આંગડિયા મારફતે ઉપાડી લેવામાં આવી હતી. રકમ ઉપાડ્યા બાદ આરોપીઓએ તેમના ફોન બંધ કરી દીધા હતા અને ફરિયાદીને રૂ. 60,63,400 ની રકમ પરત કરવામાં આવી ન હતી કે પહોંચાડવામાં પણ આવી ન હતી. આ સમગ્ર મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *