મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજનો તેજસ્વિતા અભિવાદન સમારોહ:મહામંડલેશ્વર કંકેશ્વરી માતાજી, મંત્રી કાંતિ અમૃતિયાની ઉપસ્થિતિમાં ધો.1થી અનુસ્નાતક સુધીના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

મોરબીના પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પંચઅગ્નિ અખાડાના મહામંડલેશ્વર કંકેશ્વરી માતાજી, મોરબીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોના હસ્તે બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધો.1થી અનુસ્નાતક સુધીના વિદ્યાર્થીઓનું સન્માન
સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે તેજસ્વિતા અભિવાદન સમારોહ યોજવામાં આવે છે. આ વર્ષે પણ મોરબીમાં વસવાટ કરતા બ્રહ્મ સમાજના ધોરણ 1થી કોલેજ તેમજ અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી ભાઈ-બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મ સમાજના આગેવાનોની ઉપસ્થિતિ
કાર્યક્રમમાં પરશુરામ ધામના પ્રમુખ હસુભાઈ પંડ્યા, અનિલભાઈ મહેતા, ભુપતભાઈ પંડ્યા, પ્રશાંતભાઈ મહેતા, નરેન્દ્રભાઈ ઠાકર, હંસાબેન ઠાકર, જયદીપભાઈ મહેતા, કેયુરભાઈ પંડ્યા, રાજુભાઈ ઠાકર સહિતના બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કંકેશ્વરી માતાજીએ સન્માનને પ્રેરણારૂપ ગણાવ્યું
આ પ્રસંગે પંચઅગ્નિ અખાડાના મહામંડલેશ્વર કંકેશ્વરી માતાજીએ જણાવ્યું હતું કે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિની યોગ્ય સ્થાને કદર અને સન્માન થવું જરૂરી છે. આવા સન્માનથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે છે અને અન્ય લોકોને પણ મહેનત તથા સફળતા માટે પ્રેરણા મળે છે. બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન બદલ તેમણે કાર્યક્રમના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષણ પાછળ ખર્ચ કરવાની રાજ્યમંત્રીની અપીલ
રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સમાજમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ ઘટાડીને સાદગીપૂર્વક લગ્ન કરવામાં આવે અને બચેલી રકમ જરૂરિયાતમંદ તથા હોશિયાર વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે તો તેમના ભવિષ્યમાં મોટો સુધારો આવી શકે છે. આવા પ્રયાસોથી સમગ્ર બ્રહ્મ સમાજને પણ સારા પરિણામો મળશે તેમ તેમણે જણાવ્યું હતું. પરશુરામ ધામમાં પાંચ રૂમ માટે દાતાઓની જાહેરાત
કાર્યક્રમ દરમિયાન મોરબીના પરશુરામ ધામ ખાતે પાંચ રૂમ બનાવવા માટે સહયોગની ટહેલ કરવામાં આવી હતી. આ સમયે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા ઉપરાંત ભુપતભાઈ પંડ્યા, હસુભાઈ પંડ્યા, હંસાબેન ઠાકર અને કિરણબેન ઠાકરે એક-એક રૂમના દાતા બનવાની જાહેરાત કરી હતી. કાંતિભાઈ અમૃતિયાએ બ્રહ્મ સમાજમાં શિક્ષણ માટે ચોક્કસ ભંડોળ એકત્રિત કરવાની પણ લાગણી વ્યક્ત કરી હતી. જરૂરિયાતમંદ અને હોશિયાર વિદ્યાર્થીઓને આર્થિક મદદ મળી રહે તે માટે સમાજ દ્વારા વ્યવસ્થિત ફંડ ઊભું કરવામાં આવે તેવી તેમણે અપીલ કરી હતી. આયોજકોની મહેનતથી કાર્યક્રમ સફળ
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ આર.કે. ભટ્ટ, મહામંત્રી નિરજભાઈ ભટ્ટ, જયેશભાઈ દવે સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સાથે શિક્ષણને પ્રોત્સાહન અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાયનો સંદેશ આપતો આ કાર્યક્રમ સમાજ માટે પ્રેરણાદાયી બની રહ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *