રાજકોટમાં એક મહિના પહેલા સાધુવાસવાણી રોડ પર માતા-પિતા અને પુત્રના સામૂહિક આપઘાતના ચકચારી બનાવમાં નવો ખુલાસો થયો છે. આ મામલે યુનિવર્સિટી પોલીસે સંદિપ લખતરીયા સામે મરવા માટે મજબૂર કરવાના આક્ષેપસર ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે નિશિત ખખ્ખરે પોતાની બે સોનાની વીંટી ફાઇનાન્સમાં મૂકી લોન લીધી હતી. બાદમાં સંદિપ લખતરીયાએ રૂપિયા આપી આ વીંટી છોડાવી પોતાની પાસે રાખી હતી અને નિશિતને પોતાની ઓફિસે બોલાવી રૂ.97,000ની માંગણી કરી હતી. પરિવારના સામૂહિક આપઘાતના આ કેસમાં આપઘાત કરતાં પહેલાનું પિતા-પુત્ર વચ્ચે ફોન પર થયેલી વાતચીતનું રેકોર્ડિંગ સામે આવ્યું છે. સંદીપે નિશિતને ઓફિસમાં ગોંધી રાખ્યો, માત્ર એક-દોઢ કલાકનો સામે માંગ્યો છતાં ન જવા દીધો
આ કેસમાં PWDના નિવૃત કર્મચારી મૃતક દિલીપભાઈ ખખ્ખરના કૌટુંબિક ભત્રીજા ભાવિનભાઈ રસિકભાઈ ખખ્ખરે આરોપી સંદિપ લખતરીયા સહિત તપાસમાં ખુલનારા લોકો સામે કાકા દિલીપભાઈ, કાકી સ્મિતાબેન અને તેના પુત્ર નિશિતને આત્મહત્યાની દુષ્પ્રેરણાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, નિશિતને એસ્ટ્રોન ચોક સ્થિત લેન્ડમાર્ક બિલ્ડિંગમાં આવેલી ઓફિસમાં બેસાડી રાખવામાં આવ્યો હતો. રૂપિયા ચૂકવવાની વ્યવસ્થા ન થતાં નિશિતે ત્યાંથી પોતાના પિતા દિલીપભાઈને ફોન કર્યો હતો અને સંદિપ સાથે વાત કરાવી હતી. ફરિયાદમાં આક્ષેપ છે કે સંદિપે રકમ ચૂકવવા માટે દબાણ કર્યું હતું અને પૈસાની વ્યવસ્થા ન થાય તો નિશિતને ઓફિસમાંથી જવા નહીં દેવાની વાત કરી હતી. મોબાઇલમાં રહેલા રેકોર્ડિંગ મુજબ નિશિતે સંદિપ પાસે બીજા દિવસ સુધીનો સમય માંગ્યો હતો અને પ્રોમિસરી નોટ કરી આપવાની વાત કરી હતી. જોકે, સંદિપ તૈયાર ન થતાં નિશિતે માત્ર કલાક કે દોઢ કલાકનો સમય આપવા વિનંતી કરી હતી. તેણે પિતાને જણાવ્યું હતું કે પોતાને ઓફિસમાંથી જવા દેવામાં આવતો નથી અને મોબાઇલમાંથી ગમે તેમ કરીને રૂપિયા મેળવવા માટે કહેવામાં આવ્યું છે.
સામૂહિક આપઘાત પહેલા પિતા-પુત્ર વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગ સામે આવ્યું
ફરિયાદી ભાવિનભાઈ રસિકભાઈ ખખ્ખરે જણાવ્યું છે કે 27 જુલાઈ 2026ના રોજ તેમને મીડિયા મારફતે જાણ થઈ હતી કે તેમના કૌટુંબિક કાકા દિલીપભાઈ, કાકી સ્મિતાબેન અને પુત્ર નિશિતે ઝેરી દવા પીધી છે અને તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સારવાર દરમિયાન ત્રણેયનાં મોત થયા હતા. ત્યારબાદ નિશિતના મોબાઇલમાં રહેલું રેકોર્ડિંગ સાંભળવામાં આવ્યું હતું. તેમાં નિશિત પોતાના પિતા સાથે વાત કરતો સંભળાય છે. વાતચીત દરમિયાન પિતા દિલીપભાઈ કહે છે, ‘આપણો નિર્ણય ફાઇનલ છે બરાબર, તું ઘરે આવ અને કોઈને ફોન ના કરતો.’ તેના જવાબમાં નિશિત કહે છે કે, ‘મારી હિંમત હાલતી નથી.’
કોઈ આપણને પૈસા આપે એમ છે?: પિતાનો સવાલ
રેકોર્ડિંગમાં દિલીપભાઈ નિશિતને સંદિપે તેને છૂટ આપી હોવાની વાત કરી પૂછે છે કે હવે બીજો કોઈ રસ્તો છે કે નહીં અને કોઈ તેમને રૂપિયા આપશે કે કેમ. નિશિત જવાબ આપે છે કે આટલા દિવસમાં વ્યવસ્થા થઈ નથી તો હવે એકાદ કલાકમાં કેવી રીતે થશે. ત્યારબાદ દિલીપભાઈ નિશિતને ઘરે આવવા કહે છે અને ત્રણેય સાથે નિર્ણય લેવાની વાત કરે છે. વાતચીત દરમિયાન નિશિત પોતાની માતા વિશે પૂછે છે. પિતા કહે છે કે માતા પણ તેને ઘરે આવવા કહે છે. અંતે નિશિત ઘરે આવવાની વાત કહી ફોન કાપી નાખે છે. ફરિયાદીનો દાવો છે કે આ સમગ્ર વાતચીત તેણે નિશિતના મોબાઇલમાં રહેલા રેકોર્ડિંગમાં સાંભળી હતી. અગાઉ રૂ.22 લાખ આપ્યા હોવાનો પણ રેકોર્ડિંગમાં ઉલ્લેખ
ફરિયાદ મુજબ, નિશિતે પોતાના પિતાને જણાવ્યું હતું કે અગાઉ રૂ.22 લાખ આપવામાં આવ્યા હતા ત્યારે સંદિપે રાહ જોઈ હતી, પરંતુ હવે રૂ.1 લાખ જેટલી રકમ માટે રાહ જોવામાં આવતી નથી. દિલીપભાઈએ સંદિપને નિશિતને જવા દેવા વિનંતી કરી હતી અને ઘરે જઈને પૈસાની વ્યવસ્થા કરવાની વાત કરી હતી.
યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સંદિપ લખતરીયાએ નિશિતને ઓફિસમાં બેસાડી રાખી રૂપિયા માંગ્યા, ધમકી આપી અને પૈસાની વ્યવસ્થા ન થાય તો ઘરે જવા નહીં દેવાની વાત કરી હતી. જેના કારણે નિશિત અને તેના પરિવારને શારીરિક-માનસિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી પોલીસે ફરિયાદના આધારે સંદિપ લખતરીયા સહિત તપાસમાં ખુલનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં પરિવારના સામૂહિક આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો:પિતાએ પુત્રને ફોન પર કહ્યું- ‘આપણો નિર્ણય ફાઇનલ છે, તું ઘરે આવ’, માતા-પિતા-પુત્ર ત્રણેયે સાથે ઝેરી દવા પીધી'તી
📅 Published: September 10, 2026 |
📂 Category: gujarati-news
