કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તમામ શાળાઓમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC) બનાવવાની ફરજિયાત સૂચના આપવામાં આવી છે. આ કમિટીમાં વાલીઓ અને શિક્ષકોને સામેલ કરવાનો નિયમ છે. કેન્દ્રની ગાઈડલાઈન મુજબ, 100 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 12 થી 15, 500 વિદ્યાર્થીઓ સુધી 15 થી 20 અને 500થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 20 થી 25 સભ્યો રાખવાના રહે છે. આ કમિટીમાં 70% વાલીઓ અને 50% મહિલાઓની ભાગીદારી નક્કી કરવામાં આવી છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળનો વિરોધ
ગ્રાન્ટેડ શાળાઓને પણ આ નિયમમાં સાંકળી લેવાતાં રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. મહામંડળે ગ્રાન્ટેડ શાળાઓને SMC માંથી બાકાત રાખવા શિક્ષણમંત્રી સુધી રજૂઆત કરી હતી. તેમ છતાં સરકારે આ નિયમ ફરજિયાત રાખતાં, મહામંડળે તમામ ગ્રાન્ટેડ શાળાઓને SMC કમિટી ન બનાવવા માટે સ્પષ્ટ આદેશ આપ્યો છે. બેવડા વહીવટથી ઝઘડા થવાની ભીતિ
ગ્રાન્ટેડ શાળાઓ નોંધાયેલી સંસ્થાઓ છે, જ્યાં નિયમ મુજબ ટ્રસ્ટીઓ અને કમિટી સભ્યો જ શાળાનો આર્થિક અને સામાજિક વહીવટ સંભાળે છે. શાળા સંચાલકોનું માનવું છે કે SMC ની અલગ રચના કરવાથી દ્વિમુખી વહીવટી પદ્ધતિ ઊભી થશે, જેનાથી અલગ-અલગ જૂથો વચ્ચે મતભેદ અને ઝઘડા પેદા થશે. તેથી, જો સરકાર વિગતો માગે તો SMC ની જગ્યાએ ટ્રસ્ટીઓના નામ આપવા જણાવવામાં આવ્યું છે. ગ્રાન્ટના સદ્ઉપયોગ સામે નાણાકીય બિન-સહાયનો તર્ક
મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે સ્પષ્ટ કર્યું કે SMC મુખ્યત્વે ધોરણ 1 થી 8 ની સરકારી પ્રાથમિક શાળાઓ માટે જરૂરી છે, જ્યાં બિલ્ડિંગ, ફર્નિચર, મેન્ટેનન્સ કે સાધનો માટે સરકારી યોજનાઓ હેઠળ નાણાકીય સહાય મળે છે. તે ગ્રાન્ટનો દુરુપયોગ રોકવા વાલીઓ અને પંચાયતના પ્રતિનિધિઓની SMC ઉપયોગી છે. પરંતુ ગ્રાન્ટેડ શાળાઓને કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી આવી કોઈ યોજનાકીય ગ્રાન્ટ મળતી નથી, જેથી ત્યાં આ સમિતિની કોઈ આવશ્યકતા નથી.
રાજ્ય શાળા સંચાલક મંડળનો SMC ન બનાવવા શાળાઓને આદેશ:સરકારી યોજનાઓની નાણાકીય ગ્રાન્ટ મળતી ન હોવાથી ટ્રસ્ટી વહીવટ જ યોગ્ય હોવાનો દાવો
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
