અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી અને વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવતી 31 વર્ષીય પરિણીતાને મકાન ખરીદવા માટે પિયરમાંથી 50 લાખ રૂપિયા લઈ આવવા બાબતે સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાએ નાણાં લાવવાનો ઈનકાર કરતાં ઉશ્કેરાયેલા પતિએ તેને ઢોર માર માર્યો હતો અને જો રૂપિયા નહીં લાવે તો મોં પર એસિડ ફેંકી સમાજમાં મોં બતાવવા લાયક નહીં રાખવાની ખુલ્લી ધમકી આપી ઘરમાંથી હાંકી કાઢી હતી. આ અસહ્ય ત્રાસથી કંટાળીને પરિણીતાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધાવતાં પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે. મકાન માટે 50 લાખની માંગણી અને આપઘાતની ખોટી ધમકી
મૂળ માંડલની વતની અને રાણીપમાં રહીને શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીના લગ્ન વર્ષ 2024 માં ઘાટલોડિયાના યુવક સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ જ સાસુ-સસરા અને પતિએ નવું મકાન ખરીદવાના બહાને પિયરમાંથી 50 લાખ રૂપિયાની માતબર રકમ લઈ આવવા દબાણ શરૂ કર્યું હતું. પરિણીતાએ આટલી મોટી રકમ લાવવામાં અસમર્થતા દર્શાવતાં પતિએ તેની સાથે ઉગ્ર ઝઘડો કરી નિર્દયતાપૂર્વક મારપીટ કરી હતી. આટલેથી ન અટકતાં પતિએ પોતે આપઘાત કરી પરિણીતા તેમજ તેના માતા-પિતાને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મોબાઈલ પર જાપ્તો અને સ્કૂલે જઈને હેરાનગતિ
આરોપી પતિ પરિણીતાના મોબાઈલ ફોનનો તમામ કંટ્રોલ અને એક્સેસ પોતાની પાસે રાખતો હતો તેમજ તેને પિયર જવા કે માતા-પિતા સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક રાખવા દેતો નહોતો. સાસરિયાઓના આ અમાનુષી અત્યાચાર અંગે પરિણીતાએ પરિવારજનોને જાણ કરતાં સમાધાન માટે કૌટુંબિક બેઠક બોલાવવામાં આવી હતી. જોકે, આ બાબતની અદાવત રાખીને પતિએ ફરીથી મારપીટ કરી હતી અને મોં પર એસિડ ફેંકવાની ધમકી આપી પરિણીતાની સ્કૂલે પહોંચીને પણ જાહેરમાં હેરાન-પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. અંતે કોઈ રસ્તો ન જણાતાં શિક્ષિકાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
રાણીપમાં વિદ્યાસહાયકને ત્રાસ આપી પતિ સહિત સાસરિયાઓએ 50 લાખ લાવવા:પતિએ માર મારીને એસિડ મોં પર ફેંકીને સમાજમાં દેખાડવા લાયક નહિ રહેવા દેવાની ધમકી આપી
📅 Published: August 23, 2026 |
📂 Category: gujarati-news
