રાહી ફાઉન્ડેશનના કાર્યકર્તાઓની એક બેઠક આગામી લોકોપયોગી કાર્યક્રમોના આયોજન માટે પાલડીના સુમેરુ સેન્ટર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ સામાજિક અને કલ્યાણકારી પ્રવૃત્તિઓ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. નિર્ણયો અનુસાર, દિવાળીના તહેવારો નિમિત્તે 555 વિધવા, અશક્ત, દિવ્યાંગ અને જરૂરિયાતમંદ પરિવારોને એક મહિના ચાલે તેટલી રાશન કીટ, સાડી, મીઠાઈ અને નમકીન કીટ ભેટ આપવામાં આવશે. આ ઉપરાંત, 5 હજાર બાળકોનું મફત આંખ તપાસ શિબિર યોજી ચશ્માનું વિતરણ પણ કરાશે. ફાઉન્ડેશન રણ વિસ્તારના અગરિયા પરિવારોને મદદ કરશે. ટીબીના દર્દીઓ, કુપોષિત બાળકો, સગર્ભા મહિલાઓ અને HIV પીડિતોને સુપોષણ કીટ પૂરી પાડવામાં આવશે. દર શનિવારે 800 જરૂરિયાતમંદ બાળકો અને બહેનોને પૌષ્ટિક વેજિટેબલ ખીચડી અને છાશનું વિતરણ કરવાનો પણ નિર્ણય લેવાયો છે. શિક્ષણ ક્ષેત્રે, 100 પ્રાથમિક શાળાઓને 325 બાળ સાહિત્યના પુસ્તકોનું પુસ્તકાલય ભેટ આપવામાં આવશે. આ સાથે, ઘરડાઘર, દિવ્યાંગ સંસ્થાઓ, આંગણવાડીઓ, શિશુગૃહો અને અન્ય લોકોપયોગી સંસ્થાઓને પણ મદદ પૂરી પાડવામાં આવશે. આ બેઠક જયેશ પરીખના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં જાણીતા સામાજિક આગેવાનો નમ્રતા શોધન, સરોજ જોશી, નિહારિકા પરીખ, અશોક દલાલ સહિત 25 કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાહી ફાઉન્ડેશને લોકોપયોગી કાર્યક્રમો માટે બેઠક યોજી:દિવાળી રાશન કીટ, ચશ્મા વિતરણ સહિત અનેક નિર્ણયો લેવાયા
📅 Published: August 21, 2026 |
📂 Category: gujarati-news
