ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાને પગલે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. 10 લોકોના મોત થતાં અને અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાના અહેવાલો વચ્ચે આમ આદમી પાર્ટીએ રાજ્યવ્યાપી વિરોધ કાર્યક્રમો યોજ્યા છે. કલેક્ટર કચેરી ખાતે પહોંચીને શાસક પક્ષ અને પોલીસ પ્રશાસન સામે આકરા પ્રહારો કર્યા તથા આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ‘મુખ્ય ગુનેગારો સામે કોઈ નક્કર કાર્યવાહી થતી નથી’
AAPના પ્રવક્તા ડૉ. કરણ બારોટે ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ અમલી છે. વારંવાર બનતી આવી ઘટનાઓ બાદ માત્ર SITની રચના કરવામાં આવે. કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરીને સંતોષ માની લેવાય છે, પરંતુ મુખ્ય ગુનેગારો સામે કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. દારૂના ગેરકાયદે વેપાર સામે અવાજ ઉઠાવનાર પત્રકારો અને સામાન્ય નાગરિકો સામે જ પોલીસ કેસ દાખલ કરવામાં આવે છે. કડક દારૂબંધીનો અમલ નહીં થાય તો આંદોલન કરીશું
આ ઉપરાંત, નેતાઓએ દાવો કર્યો હતો કે સરહદી વિસ્તારોમાં દારૂના કોન્ટ્રાક્ટો કરોડો રૂપિયામાં બોલાય છે, જે દર્શાવે છે કે આ આખો કારોબાર ક્યાંથી અને કેવી રીતે સંચાલિત થાય છે. જો સરકાર ઈચ્છે તો રાજ્યમાં દારૂનું એક ટીપું પણ પ્રવેશી શકે નહીં. AAPએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી રાજ્યમાં કડક દારૂબંધીનો અમલ નહીં થાય ત્યાં સુધી પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન ચાલુ રાખવામાં આવશે.
લઠ્ઠાકાંડ મુદ્દે AAPનું રાજ્યમાં વિરોધ પ્રદર્શન, ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત:પ્રવક્તા બારોટે કહ્યું- SITની રચના તો કરે પણ મુખ્ય ગુનેગારો સામે કાર્યવાહી કરતાં નથી
📅 Published: August 22, 2026 |
📂 Category: gujarati-news
