સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર વિદેશી દારૂના કારોબાર સાથે સંકળાયેલા હોવાના આરોપસર ગુજસીટોક હેઠળ ઝડપાયેલા હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયસ્વાલની જામીન અરજી વડોદરાની વિશેષ ગુજસીટોક સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી છે. વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના કેસમાં ગુજસીટોક સ્પેશિયલ કોર્ટે આરોપી સામેના પુરાવા, ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જમીન અરજી ફગાવી છે. પોલીસ તપાસમાં આરોપી અને તેની ગેંગ પાસે કાયદેસરની આવકની સરખામણીએ કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકતો હોવાનો ખુલાસો થયો હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, ઇન્કમ ટેક્ષ રિટર્નમાં ગેંગની કુલ કાયદેસરની ચોખ્ખી આવક રૂ.1.64 કરોડ દર્શાવવામાં આવી હતી, જ્યારે તેની પાસે રૂ.75.03 કરોડથી વધુની સ્થાવર અને જંગમ મિલકતો મળી આવી છે. કાયદેસરની આવક અને મિલકતો વચ્ચે રૂ.73.38 કરોડ જેટલો તફાવત હોવાનું જણાવી આ મિલકતો ટાંચમાં લેવા માટે ગૃહ વિભાગને દરખાસ્ત મોકલવામાં આવી હોવાનું કોર્ટ સમક્ષ રજૂ થયું હતું. આ ઉપરાંત, બેંક ખાતાઓમાં લાખો રૂપિયાના શંકાસ્પદ UPI ટ્રાન્ઝેક્શન પણ મળી આવ્યા હતા. આરોપીઓએ સંગઠિત ગુનાહિત ટોળકી બનાવી વડોદરા ગ્રામ્ય, અમદાવાદ, સુરત અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવી હતી. ગેંગ સામે હત્યાની કોશિશ, પોલીસ પર હુમલો, સરકારી વાહનોની તોડફોડ, રાયોટિંગ તેમજ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ સહિત કુલ 33 ગુનાઓ નોંધાયેલા છે. તેમાંથી અરજદાર આરોપી હિતેશ જયસ્વાલ વિરુદ્ધ 12 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યાએ આ મામલે દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો અને રેકોર્ડ પરના પુરાવાઓનું અવલોકન કર્યા બાદ ગુજસીટોક એક્ટની કલમ 20(4)ની જોગવાઈને ધ્યાનમાં લીધી હતી. આરોપીનો ગુનાહિત ઇતિહાસ, અપ્રમાણસર મિલકતો અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણીને ધ્યાનમાં લેતાં જામીન આપવા યોગ્ય કેસ જણાતો ન હોવાથી ગુજસીટોક સ્પેશિયલ કોર્ટે હિતેશ ઉર્ફે પપ્પુ જયસ્વાલની જામીન અરજી ફગાવી દીધી હતી.
વડોદરામાં ગુજસીટોકના આરોપી હિતેશ ઉર્ફે પપ્પુ જયસ્વાલને કોર્ટનો ઝટકો:જામીન અરજી ગુજસીટોક સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી, બુટલેગર ગેંગ પાસે 75 કરોડની અપ્રમાણસર મિલકતના મુદ્દે જામીન નામંજૂર થયા
📅 Published: September 10, 2026 |
📂 Category: gujarati-news
