વડોદરામાં વધુ એક મગરનું રેસ્ક્યુ:કેલનપુર રેલવે ટ્રેક પર 5 ફૂટનો મગર આવી ચડ્યો, વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે એક કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કર્યો

📅 Published: September 13, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા શહેર પાસે કેલનપુર રેલવે સ્ટેશન નજીક રાત્રિના સમયે મગર રેલવે ટ્રેક પર આવી ચડતાં રેસ્ક્યુ ટીમ દોડી આવી હતી. વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે આશરે 5 ફૂટ લાંબા મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને વડોદરા વન વિભાગને સોંપ્યો હતો. રાત્રિના સાડા નવ વાગ્યાની આસપાસ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવારને કેલનપુર રેલવે સ્ટેશન પરથી ભરતભાઈનો ફોન આવ્યો હતો. તેમણે રેલવે ટ્રેક પર મગર આવી ગયો હોવાની જાણ કરતાં સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત તેમજ સંસ્થાના કાર્યકર અને વડોદરા વન વિભાગના અધિકારી જિગ્નેશભાઈ પરમાર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે સ્થળ પર તપાસ કરતાં રેલવે ફાટકની બાજુમાં આશરે સાડા ચારથી પાંચ ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો. મગરને સુરક્ષિત રીતે પકડવા માટે રેસ્ક્યુ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે આશરે એક કલાકની ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મગરને સલામત રીતે વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *