વઢવાણના સંકલ્પ વિદ્યાલય ખાતે સંસ્કૃત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન માનનીય મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સહજાનંદ એજ્યુકેશન ગ્રુપ સંચાલિત સંકલ્પ વિદ્યાલય દ્વારા યોજાયું હતું. આ પ્રસંગે જિલ્લા નોડલ ઓફિસર પંડ્યા, સંસ્કૃત ભારતીના નોડલ રાણા અને ચિન્મય મિશન આશ્રમના સાધ્વી આનંદજી સહિત સંસ્કૃત વિષયના અનેક તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાના ગૌરવ અને મહત્વ વિશે માહિતગાર કર્યા હતા. પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષા અને વિષયને લગતી વિવિધ કૃતિઓ અને રજૂઆતો કરી હતી. આ ઉપરાંત, ગુજરાત બોર્ડની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં 100માંથી 100 ગુણ મેળવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉપસ્થિત મહાનુભાવોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે ઉત્સાહ અને ગૌરવ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સંકલ્પ વિદ્યાલયના કેમ્પસ ડાયરેક્ટર, આચાર્ય અને સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.
વઢવાણમાં સંકલ્પ વિદ્યાલયે સંસ્કૃત પ્રદર્શન યોજ્યું:મુખ્યમંત્રીના સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત આયોજન
📅 Published: August 30, 2026 |
📂 Category: gujarati-news
