વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટે ગણપતિ ઉત્સવ-2026 દરમિયાન આયોજકોને વિવિધ પરવાનગીઓ સરળતાથી મળી રહે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ લાગુ કરવાનો આદેશ કર્યો છે. આ વ્યવસ્થા હેઠળ, ગણપતિ ઉત્સવ સંબંધિત સભા, સરઘસ અને લાઉડસ્પીકરની પરવાનગી માટે અરજદારોને અલગ-અલગ કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે. આ સિંગલ વિન્ડો વ્યવસ્થાની કામગીરી સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના માર્ગદર્શન હેઠળ જે-તે વિસ્તારના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સોંપવામાં આવી છે. પોલીસ વિભાગ સાથે સંકલન જાળવવા માટે, નાયબ પોલીસ અધિક્ષક દ્વારા દરેક મામલતદાર કચેરી ખાતે સંબંધિત પોલીસ સ્ટેશનના એક કર્મચારીની નિયુક્તિ કરવામાં આવશે. દરેક કચેરીમાં સમગ્ર કામગીરીના સંકલનની જવાબદારી નાયબ મામલતદાર કક્ષાના કર્મચારીને સોંપવામાં આવી છે. અરજદાર દ્વારા પરવાનગી માટે અરજી કર્યા પછી, રજાના દિવસો સિવાય ત્રણ દિવસની અંદર પરવાનગી આપવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે. જિલ્લા પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે આ સિંગલ વિન્ડો વ્યવસ્થા ફક્ત ગણપતિ ઉત્સવ-2026 પૂરતી જ અમલમાં રહેશે. ઉત્સવ દરમિયાન સરકારના પ્રવર્તમાન તમામ નીતિ-નિયમો અને માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત રહેશે.
વલસાડમાં ગણપતિ ઉત્સવ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ:સભા, સરઘસ, લાઉડસ્પીકરની મંજૂરી 3 દિવસમાં એક જ સ્થળેથી
📅 Published: August 28, 2026 |
📂 Category: gujarati-news
