વલસાડ શહેરમાં ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે વહીવટી તંત્ર દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના ગણેશ મંડળોના આયોજકો અને DJ સંચાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વલસાડના પ્રાંત અધિકારી વિમલ પટેલે બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં DySP એ. કે. વર્મા, સિટી મામલતદાર અને વલસાડ સિટી PI આર. એચ. વાળા હાજર રહ્યા હતા. અધિકારીઓએ આયોજકો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે ગણેશ મહોત્સવ દરમિયાન ધ્વનિ પ્રદૂષણ, ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાના સરકારી નિયમોનું કડક પાલન કરવા ગણેશ મંડળો અને DJ સંચાલકોને સ્પષ્ટ સૂચના આપી. બેઠકમાં ગણેશ મંડળોના આયોજકોએ વિસર્જન યાત્રાના માર્ગો પર આવતા અવરોધો વિશે તંત્રનું ધ્યાન દોર્યું. તેમણે લટકતા વીજ વાયરો, રસ્તા પરના ખાડા અને વૃક્ષોની ડાળીઓ દૂર કરવાની માંગ કરી. આયોજકોએ કહ્યું કે, વિસર્જન યાત્રા સરળતાથી પસાર થઈ શકે તે માટે આ અવરોધો સમયસર દૂર કરવા જરૂરી છે. પ્રાંત અધિકારી અને પોલીસ વિભાગે આ પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવાની ખાતરી આપી. DJ સંચાલકોને સુપ્રીમ કોર્ટ અને સરકારની ગાઈડલાઈન્સ મુજબ નિર્ધારિત ડેસિબલ મર્યાદામાં જ સાઉન્ડ સિસ્ટમ વગાડવા સૂચના અપાઈ. તેમને સમયમર્યાદાનું પાલન કરવા પણ કડક તાકીદ કરાઈ. ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોમી સૌહાર્દ જળવાઈ રહે તે માટે બધાને સહયોગ આપવા વિનંતી કરાઈ હતી. અંતમાં, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે તમામ નાગરિકો, ગણેશ મંડળો અને સંચાલકોને આ વર્ષનો ગણેશ ઉત્સવ ભાઈચારા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવા અપીલ કરી.
વલસાડમાં ગણેશ ઉત્સવ પહેલા શાંતિ સમિતિની બેઠક:મંડળો અને DJ સંચાલકોને કાયદા પાલનનો આદેશ, વિસર્જન માર્ગના અવરોધો દૂર કરવા રજૂઆત
📅 Published: September 7, 2026 |
📂 Category: gujarati-news
