વલસાડમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાના સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ તાલુકાના સેગવી ગામની સર્વોદય હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભરત પટેલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીનો મુખ્ય હેતુ સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર, સંવર્ધન અને દૈનિક જીવનમાં તેના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ભરત પટેલે જણાવ્યું હતું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારની ઓળખ છે. તેમણે ઉમેર્યું કે, સંસ્કૃત સંભાષણ દિવસનો મુખ્ય હેતુ સંસ્કૃતને માત્ર પાઠ્યપુસ્તકના વિષય પૂરતી સીમિત રાખવાને બદલે દૈનિક વ્યવહાર અને સંવાદની ભાષા તરીકે પ્રોત્સાહન આપવાનો છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને સંસ્કૃત વિષયના શિક્ષકોએ પરસ્પર સંસ્કૃતમાં સંવાદ કર્યો હતો. જિલ્લાની વિવિધ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંસ્કૃત શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિક્ષકોએ સંસ્કૃતમાં પરિચય, શુભેચ્છા તેમજ દૈનિક વ્યવહારમાં ઉપયોગી વાક્યો અને સંવાદ રજૂ કરી ભાષાના વ્યવહારુ ઉપયોગનું નિદર્શન કર્યું હતું. વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંસ્કૃત ભારતની પ્રાચીન અને સમૃદ્ધ ભાષા હોવાની સાથે જ્ઞાનપરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારોની મહત્વપૂર્ણ વાહક છે. નવી પેઢીને સંસ્કૃત સાથે જોડવા માટે સંસ્કૃત સપ્તાહ દરમિયાન વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. વસાવા, શિક્ષણ નિરીક્ષક અપેક્ષાબેન પટેલ, જિલ્લા નોડેલ તેજલબેન પટેલ સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ, આચાર્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન વલસાડની શાહ કે.એમ.એસ. હાઈસ્કૂલનાં આચાર્ય જયશ્રીબેન ભગતે કર્યું હતું.
વલસાડમાં જિલ્લા કક્ષાના સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણી:સેગવીની સર્વોદય હાઈસ્કૂલમાં કાર્યક્રમ યોજાયો
📅 Published: August 27, 2026 |
📂 Category: gujarati-news
