વલસાડમાં સંસ્કૃત યાત્રા યોજાઈ, 1500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા:શ્લોકોચ્ચારથી માર્ગો ગૂંજી ઉઠ્યા, સંસ્કૃત ભાષાનું મહત્વ દર્શાવાયું

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

વલસાડ શહેરમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સતત બીજા વર્ષે ભવ્ય ‘સંસ્કૃત યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં વલસાડની સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો, સ્વાધ્યાય મંડળ સંસ્કૃત મહાવિદ્યાલયના ગુરુજનો અને વિવિધ શાળા-કોલેજોના ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. વિદ્યાર્થીઓએ હાથમાં પ્લેકાર્ડ્સ, વિવિધ દેવ-દેવીઓ અને પ્રાચીન ગ્રંથોની ઝાંખીઓ સાથે સંસ્કૃત ભાષાનું મહત્વ દર્શાવતા શ્લોકોચ્ચાર કર્યા હતા. તેમના શ્લોકોચ્ચારથી સમગ્ર નગરના માર્ગો ગૂંજી ઉઠ્યા હતા, જેનાથી વાતાવરણ ભક્તિમય અને સંસ્કૃતિમય બન્યું હતું. નવી શિક્ષણ નીતિ (NEP 2020) અંતર્ગત માતૃભાષા અને પ્રાચીન સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર તથા પ્રોત્સાહન માટે રાજ્યભરમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ રેલી પણ મુખ્યમંત્રી દ્વારા સંસ્કૃત ભાષાને જન-જન સુધી પહોંચાડવાની યોજનાનો એક ભાગ છે. વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ડૉ. રાજેશ્રી ટંડેલે જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ અમલમાં આવ્યા બાદ સંસ્કૃત પ્રત્યે લોકોની જાગૃતિ વધી છે. પરિણામે, સંસ્કૃત પાઠશાળાઓમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સંસ્કૃત શિક્ષક મેહુલ મહેતાએ યાત્રા અંગે માહિતી આપતા કહ્યું કે, સંસ્કૃત એ આપણા દેશનો આત્મા છે. જો સંસ્કૃત ભાષા ટકશે તો જ આપણી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહેશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો સુધી સંસ્કૃતના શ્લોકો અને વાણી પહોંચાડીને તેમના હૃદય અને આત્માને ધન્ય બનાવવાનો છે. આ યાત્રામાં વલસાડ SP યુવરાજસિંહ જાડેજા, DySP ભાર્ગવ પંડિયા, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, DEO ડૉ. રાજેશ્રી ટંડેલ સહિત જિલ્લાના સંસ્કૃત પાઠશાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *