પવિત્ર જન્માષ્ટમીના પર્વ નિમિત્તે વેરાવળ-સોમનાથ શહેર કૃષ્ણમય બની ગયું હતું. શહેરમાં ઠેર-ઠેર ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રાત્રિના બરાબર 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. અનેક સ્થળોએ મટકી ફોડ કાર્યક્રમો પણ યોજાયા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ‘જય કનૈયાલાલ કી’ના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા. વેરાવળના શ્રીપાલ ચોક ખાતે ગોવર્ધનનાથજી હવેલીના પ્રાંગણમાં ભવ્ય ધર્મોત્સવ યોજાયો હતો. છેલ્લા દસ વર્ષથી શ્રીપાલ ચોક ખાતે આ જન્માષ્ટમી મહોત્સવ યોજાય છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. હજારો ભક્તોની હાજરીમાં રાત્રે રાસ-ગરબાની રમઝટ જામી હતી. આનાથી સમગ્ર વાતાવરણ ભક્તિ અને ઉત્સાહથી છલકાઈ ગયું હતું. રાસ-ગરબાના કાર્યક્રમ પછી ભક્તો મધરાતના 12 વાગ્યાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ઘડિયાળના કાંટા 12 પર પહોંચતા જ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની વિધિ શરૂ થઈ. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી’ના નાદ સાથે ભક્તોએ આનંદ અને ઉલ્લાસ વ્યક્ત કર્યો. આ સાથે મટકી ફોડ કાર્યક્રમ પણ યોજાયો, જેમાં યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ ભવ્ય ધર્મોત્સવમાં રાજ્યસભા સાંસદ માનસિંહ પરમાર અને નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલ સહિતના રાજકીય, સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉપસ્થિત હતા. નગરપાલિકાના કારોબારી ચેરમેન ઉદય શાહના નેતૃત્વ હેઠળ યુવા સંગઠન છેલ્લા દસ વર્ષથી શ્રીપાલ ચોક ખાતે આ ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યક્રમમાં ધાર્મિક શ્રદ્ધા સાથે સામાજિક એકતાનો માહોલ જોવા મળ્યો. જન્માષ્ટમીના પર્વને કારણે વેરાવળ-સોમનાથમાં મંદિરો સહિત વિવિધ વિસ્તારોને ખાસ શણગારવામાં આવ્યા હતા. મધરાતે કૃષ્ણ જન્મ થતાં જ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. સમગ્ર શહેરમાં મોડી રાત સુધી ભક્તિ, સંગીત અને ઉત્સવનો માહોલ છવાયેલો રહ્યો હતો.
વેરાવળ-સોમનાથમાં મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ભક્તિમય ઉજવણી:શ્રીપાલ ચોક ખાતે હજારો ભક્તોની હાજરીમાં ‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદ ગુંજ્યા
📅 Published: September 5, 2026 |
📂 Category: gujarati-news
