મહેસાણામાં આવેલા પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ બહુચરાજી માતાજીના મંદિર હસ્તકના ઐતિહાસિક ગાયકવાડી તળાવની હાલમાં ભારે અવદશા જોવા મળી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં આવતા માઈભક્તોની આસ્થા સાથે જોડાયેલા આ વિસ્તારમાં આવેલું તળાવ અસહ્ય ગંદકીથી ખદબદી રહ્યું છે. ગાયકવાડ સરકાર દ્વારા નિર્મિત આ તળાવના બ્યુટીફિકેશન માટે રાજ્ય સરકાર દ્વારા બેથી ત્રણ વખત ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પરંતુ સ્થાનિક તંત્ર અને વહીવટકર્તાઓની ઈચ્છાશક્તિના અભાવે તેમજ બેદરકારીના કારણે સમયમર્યાદા પૂર્ણ થતાં આ ગ્રાન્ટ વારંવાર પરત જતી રહી છે, જેના કારણે મંદિર પાસેનું આ પવિત્ર અને પ્રમુખ તળાવ બ્યુટીફિકેશનથી વંચિત રહીને બદતર હાલતમાં મુકાયું છે. તળાવમાં બજારનો કચરો ઠલવાઇ રહ્યો છે
તળાવમાં થતી ગંદકી અટકાવવામાં આવે તેમજ તેનો વિકાસ કાર્ય હાથ ધરાય મંદિર હસ્તકના આ તળાવમાં બજારનો કચરો ઠલવાઇ રહ્યો છે. આ તળાવની ફરતે આવેલ દુકાનોના વેપારીઓ પણ આ તળાવમાં ગંદકી કરવામાં બાકાત ના ગણી શકાય. સ્થાનિક લોકો સાથે અહીં આવતા શ્રદ્ધાળુઓ પણ એવું ઈચ્છી રહ્યા છે કે આ તળાવમાં થતી ગંદકી અટકાવવામાં આવે તેમજ તેનો વિકાસ કાર્ય હાથ ધરાય. મંદિર હસ્તકના આ તળાવ મંદિરની બિલકુલ પાસે હોવાથી મંદિરની ગરિમા પણ જળવાઈ રહી નથી ત્યારે તંત્ર દ્વારા હવે ક્યારે પ્રજા હિતમાં તળાવનું બ્યુટીફીકેશન ક્યારે હાથ ધરાય છે એ જોવું રહ્યું. ચારે બાજુ ગંદકીઓના ઢગલા પડ્યા, ગટરોના પાણી
સ્થાનિક દિનેશભાઈએ જણાવ્યું કે, હાલ આપ જોઈ રહ્યા છો કે તળાવ જેવું રહ્યું જ નથી. ચારે બાજુ ગંદકીઓના ઢગલા પડ્યા છે અને ગટરોના પાણી પણ તળાવમાં છોડવામાં આવી રહ્યા છે. બસ સ્ટેન્ડની સંડાસ-બાથરૂમનું પણ પાણી તળાવની અંદર આવી રહ્યું છે. જે માનાજીરાવ ગાયકવાડ વખતથી બંધાયેલું છે. આ તળાવનું પાણી માનસરોવર સાથે પણ કનેક્ટ થઈ રહ્યું છે, તો માંની ગરિમા પણ અહીંયા સચવાતી નથી .ગ્રાન્ટ તો બેથી ત્રણ વખત સરકાર દ્વારા ફાળવવામાં આવેલી છે. ‘પણ અહીંના સ્થાનિક વહીવટી તંત્રને જાણે કંઈ પડી જ ના હોય એમ આ ગ્રાન્ટ પણ પાછી સરકારમાં ગયેલી છે. મચ્છરનો ઉપદ્રવ, રોગચાળો અને ગંદકીના ઢગલા આપ જોઈ રહ્યા છો. કોઈને કંઈ પડી જ નથી એવું આજની દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. સ્થાનિક તરીકે તો અમે એટલું ઈચ્છીએ છીએ કે આ તળાવનો ખરેખર ખૂબ સારી રીતે, ભવ્ય રીતે વિકાસ થાય અને બહારથી આવતા યાત્રાળુઓ અને ગ્રામજનોને પણ અહીંયા સારું ડેવલપિંગ થાય તો લોકો ફરવા માટે આવી શકે એવું લોકો ઈચ્છી રહ્યા છે.’ ‘આનો વિકાસ કોઈ કરતું જ નથી! ખાલી અહીં આવીને જોઈને જતાં રહે છે’
સ્થાનિક ગોવિંદભાઈએ કહ્યું કે, તળાવની અંદર ખાલી આજુબાજુમાં ગંદકી બહુ પડી હોય છે. અને કોઈ સાફ-સફાઈની કોઈ કામગીરી ચાલતી નથી. આજુબાજુમાં કચરાના એટલા ઢગલા પડ્યા છે. તળાવની અંદર ગંદા પાણી છે. અત્યારે આજુબાજુમાં જુઓ તો જ્યાં ત્યાં ગંદકી જ છે. આનો વિકાસ કોઈ કરતું જ નથી! ખાલી અહીં આવીને જોઈને જતાં રહે છે. ગ્રાન્ટો આવી પણ ગ્રાન્ટો ઉપર કોઈ સરકાર આની પર ધ્યાન દોરતી નથી. તળાવનો યોગ્ય વિકાસ કરવા પ્રમુખની રજૂઆત
બેચરાજી તાલુકા પંચાયત પ્રમુખ હિતેશ મકવાણાએ ભાસ્કરને કહ્યું કે, જો સમયસર તળાવના સુધારા-વિકાસના પ્રયત્નો કરાયા હોત તો આજે આવી દુર્દશા ન હોત. હાલ આ તળાવ બહુચરાજી મંદિર અને લોકલ વહીવટી તંત્ર બંનેના ક્ષેત્રાધિકારમાં આવતું હોવાથી, સંબંધિત વહીવટી તંત્રને તાકીદે જાણ કરી આ પવિત્ર યાત્રાધામના તળાવનો યોગ્ય વિકાસ કરવા અને યાત્રાળુઓ તેમજ સ્થાનિકોને તેનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા રજૂઆત કરી છે. 500 મીટરના પરિસરનો વિકાસ કરવામાં આવશે
નાયબ વહીવટદાર શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ સુરેશ ઠાકોરે જણાવ્યું કે, બીજા ફેઝમાં મંદિરના આજુબાજુના 500 મીટરના પરિસરનો વિકાસ કરવામાં આવશે. જેમાં યાત્રિકો માટે નવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેવી કે યાત્રિક ભવન તથા પાર્કિંગની નવી વ્યવસ્થાઓ, મંદિરની બાજુમાં આવેલ બાંધિયા તળાવનો વિકાસ, ત્યાં વૉક-વે બનાવવા જેવી વિવિધ સગવડો ઉભી કરવામાં આવશે.
શક્તિપીઠ બહુચરાજીમાં મંદિર હસ્તકના ઐતિહાસિક તળાવની હાલત બદતર:શ્રદ્ધાળુ-સ્થાનિકોમાં રોષ, ગાયકવાડે બનાવેલા તળાવના બ્યુટીફીકેશનની માગ
📅 Published: August 26, 2026 |
📂 Category: gujarati-news
