80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સુરત જિલ્લા કક્ષાની ભવ્ય અને ઉત્સાહપૂર્ણ ઉજવણી મહાનગરપાલિકાના કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ, ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં, અઠવાલાઈન્સ ખાતે દેશભક્તિના માહોલમાં સંપન્ન થઈ હતી. આ રાષ્ટ્રીય મહોત્સવ રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી તેમજ સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મંત્રી દ્વારા તિરંગાને સલામી આપવામાં આવી હતી અને ઉપસ્થિત સર્વે મહાનુભાવો તથા વિશાળ સંખ્યામાં હાજર નાગરિકોએ સામૂહિક ધ્વજવંદન કર્યું હતું. મંત્રી કનુ દેસાઈએ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલી
ધ્વજવંદન સંપન્ન થયા બાદ મંત્રીએ શિસ્તબદ્ધ પોલીસ દળ, હોમગાર્ડ્સ અને વિવિધ પ્લાટૂન્સનું પરેડ નિરીક્ષણ કરી માર્ચ પાસ્ટની સલામી ઝીલી હતી. મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના સર્વોચ્ચ બલિદાનને યાદ કરી સુરત અને ગુજરાતના સર્વાંગી વિકાસની ગાથા વર્ણવી હતી. તેમણે ભારતને એક વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે સૌ નાગરિકોને રાષ્ટ્રનિર્માણમાં સક્રિય યોગદાન આપવા આહવાન કર્યું હતું. આ અવસરે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો અને વિભિન્ન સાંસ્કૃતિક નૃત્યોની અદભુત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. શહેરમાં પૂર સમયે ઉત્કૃષ્ટ સેવા આપનારનું સન્માન
કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં વિશિષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનપત્ર તથા પુરસ્કારો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિશેષ રૂપે, થોડા દિવસ પહેલા પૂર દરમિયાન ઉત્કૃષ્ટ અને ખડેપગે રાહત-બચાવની સેવા આપનાર વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ માનવતાવાદી સેવાકીય સંસ્થાઓ (NGO)નું મંચ પરથી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય પર્વની ગરિમાપૂર્ણ ઉજવણીમાં સુરત શહેર અને જિલ્લાના અગ્રણી નાગરિકો, ચૂંટાયેલા પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને દેશપ્રેમી જનતા ઉત્સાહભેર સહભાગી બની હતી. ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના જયઘોષથી ગૂંજી ઊઠ્યું હતું.
શહેરમાં 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી:નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન, પૂર રાહતમાં સેવા આપનાર કર્મીઓ અને NGOનું કરાયું સન્માન
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
