શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ પવિત્ર શ્રાવણમાસ નિમિત્તે સફળતા માટે લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે મહાભારતના પ્રસંગને ટાંકીને સમજાવ્યું કે કેવી રીતે ગુરુ દ્રોણાચાર્યે શિષ્યોને પૂછ્યું કે તેમને શું દેખાય છે. મોટાભાગના શિષ્યોએ ઝાડ, પાંદડા અને પક્ષી જોયા, જ્યારે અર્જુને માત્ર પક્ષીની આંખ જોઈ. આ જ સાચું ફોકસ છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે આજના યુવાનોમાં પ્રતિભા હોવા છતાં ફોકસનો અભાવ જોવા મળે છે, જેના કારણે તેમનું મન અભ્યાસ દરમિયાન સોશિયલ મીડિયામાં ભટકે છે. તેમણે સૂર્યના કિરણોનું ઉદાહરણ આપતા કહ્યું કે વિખરાયેલા કિરણો કાગળને પણ બાળી શકતા નથી, પરંતુ બિલોરી કાચ વડે એકઠા કરવામાં આવે તો તે લાકડાને પણ સળગાવી શકે છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ ઉમેર્યું કે, આપણી ઊર્જા રીલ્સ, મિત્રો અને નકામી વાતોમાં વિખરાયેલી રહે છે. જે દિવસે આ બધી ઊર્જાને એકત્રિત કરીને લક્ષ્ય પર કેન્દ્રિત કરવામાં આવશે, તે દિવસે સફળતા પ્રાપ્ત કરતા કોઈ રોકી શકશે નહીં. તેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, જેમ એકાગ્ર ચિત્તવાળો મનુષ્ય ધનુષ બાણ સાધે છે, તેમ મનની બધી વૃત્તિઓ જ્યારે એક લક્ષ્ય પર સ્થિર થાય ત્યારે જ કાર્ય સિદ્ધ થાય છે. તેમણે એક સમયે એક જ કાર્ય કરવા પર ભાર મૂક્યો. જેમ કે, અભ્યાસ કરતી વખતે માત્ર અભ્યાસ કરવો અને પૂજા કરતી વખતે માત્ર પૂજા કરવી. તેમણે સ્પષ્ટ કર્યું કે જો લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો મુશ્કેલીઓ દેખાશે નહીં, પરંતુ જો મુશ્કેલીઓ પર ધ્યાન આપવામાં આવે તો લક્ષ્ય ક્યારેય પ્રાપ્ત થશે નહીં. અંતે, તેમણે સફળતા માટે સોશિયલ મીડિયાના વિક્ષેપોથી દૂર રહીને અર્જુન જેવું એકાગ્ર ધ્યાન કેળવવાની સલાહ આપી.
સાધુ પ્રેમવત્સલદાસજીએ આપ્યો સફળતાનો મંત્ર:લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાથી જ મળે છે સફળતા
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
