સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ 72 પ્રશ્નો રજૂ થયા હતા, જેમાંથી 71 પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે એક પ્રશ્ન પેન્ડિંગ રહ્યો હતો. આ કાર્યક્રમ બપોરે 3:30 વાગ્યે શરૂ થઈ સાંજે 7:30 વાગ્યા સુધી, એટલે કે ચાર કલાક ચાલ્યો હતો. અરજદારો દ્વારા વરસાદી પાણીના નિકાલ, ઉભરાતી ગટર, ખોટા પરવાના, દબાણ હટાવવા, પેન્શન, કચરાનો નિકાલ, ગામતળમાં પ્લોટ ફાળવણી, નામના ફેરફાર, જન્મ-મરણ નોંધણી અને રસ્તાની માંગણી સહિતના નાગરિક સુવિધા સંબંધિત વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા. કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ ચાર કલાક સુધી ઉપસ્થિત અરજદારોની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી કે, કચેરીએ આવતા પ્રત્યેક નાગરિકની સમસ્યાઓને સંવેદનશીલતાપૂર્વક સાંભળી, કાયદાકીય મર્યાદામાં રહીને તેનો ત્વરિત અને કાયમી ઉકેલ લાવવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવામાં આવે. આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, આસિસ્ટન્ટ કલેક્ટર, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, વિવિધ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
ૉ
સાબરકાંઠા કલેક્ટરે જિલ્લા સ્વાગતમાં 71 પ્રશ્નો ઉકેલ્યા:ગટર, દબાણ, પેન્શન, કચરાનો નિકાલ, પ્લોટ ફાળવણી સહિતના મુદ્દે 4 કલાક અરજદારોને સાંભળી ત્વરિત નિકાલ કર્યો
📅 Published: August 26, 2026 |
📂 Category: gujarati-news
