સુરતમાં પરિણીત પ્રેમીયુગલનો સામૂહિક આપઘાત:સિદ્ધનાથ મહાદેવ મંદિર પાસે તાપીની પાળે બેસી બંનેએ ઝેરી દવા ગટગટાવી, પહેલાં પ્રેમી અને બાદમાં પ્રેમિકાનું મોત

📅 Published: September 15, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેરમાં વધુ એક સામૂહિક આપઘાતનો હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. વરાછા વિસ્તારમાં રહેતી 29 વર્ષીય પરિણીતા અને ઉત્રાણના 40 વર્ષીય પરિણીત યુવકે વરીયાવ બ્રિજ નીચે સિદ્ધનાથ મહાદેવ મંદિર પાસે તાપી નદીના પાળે બેસીને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ બનાવમાં હોસ્પિટલ ખસેડાયા બાદ પહેલાં પ્રેમી અને ત્યારબાદ ટૂંકી સારવારના અંતે પ્રેમિકાનું પણ મોત નીપજ્યું હતું. બંને વચ્ચે ચાલી રહેલા પ્રેમસંબંધમાં મનદુઃખ થતાં આ આત્યંતિક પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે બંને પરિવારોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પત્ની ઘરે ન પહોંચતાં પતિએ ફોન કર્યો
મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ સુરતના વરાછા ખાતે લાભેશ્વર ભવન પાસે રહેતી 29 વર્ષીય ખુશ્બુ (નામ બદલ્યું છે) મંગળવારે સવારે નિત્યક્રમ મુજબ સફાઈ કામ માટે નીકળી હતી. સાંજે મોડે સુધી તે પરત ઘરે ન ફરતાં ચિંતાતુર બનેલા પતિએ તેના મોબાઈલ પર કોલ કર્યો હતો. જોકે, ફોન કોઈ અજાણી વ્યક્તિએ ઉપાડ્યો હતો અને જણાવ્યું હતું કે આ મહિલા અને એક યુવક વરીયાવ બ્રિજ નીચે સિદ્ધનાથ મહાદેવ મંદિર પાસે બેભાન અવસ્થામાં પડ્યા છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંનેના ટૂંકા ગાળામાં દમ તોડ્યા
પરિવારજનો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ યુવકને તપાસીને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ ખુશ્બુની હાલત અત્યંત નાજુક હોવાથી તેને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ રાત્રે તેનું પણ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. બંને પરિણીત હતા અને સંતાનો પણ છે
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ ઉત્રાણ લેક ગાર્ડન પાસે રહેતા 40 વર્ષીય પરેશ નાનજી ચૌહાણ તરીકે થઈ છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે પરેશ પરિણીત હતો. જ્યારે મૃતક ખુશ્બુના પણ 12 વર્ષ અગાઉ લગ્ન થયા હતા અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેનો પતિ પાલિકાના વરાછા ઝોનમાં ફરજ બજાવે છે. એક જ જગ્યાએ કામ કરતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો
પ્રાથમિક વિગતો મુજબ, ખુશ્બુ અને પરેશ એક જ જગ્યાએ સાથે કામ કરતા હોવાથી બંને વચ્ચે પરિચય થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. બંને પરિણીત હોવા છતાં એકબીજાના સંપર્કમાં હતા. પ્રાથમિક અનુમાન મુજબ, કોઈ અંગત કારણોસર બંને વચ્ચે વિવાદ કે મનદુઃખ થતાં તેમણે તાપી નદીના પાળે જઈ આ અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ સંદર્ભે સિંગણપોર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *