સોમનાથમાં શ્રદ્ધાળુઓ માટે પોલીસે ફરાળ બાદ પાણીની સેવા શરૂ કરી:જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ શુદ્ધ પીવાનું પાણીની સુવિધા

📅 Published: September 5, 2026 | 📂 Category: gujarati-news

ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ સોમનાથ આવતા યાત્રાળુઓ માટે નવી સેવા શરૂ કરવામાં આવી છે. પોલીસે ફરાળી પ્રસાદ બાદ હવે શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી છે. શ્રાવણ માસ ભક્તિનો મહિનો છે અને સોમનાથ આસ્થાનું પવિત્ર ધામ છે. આ કારણે દૂર દૂરથી હજારો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવી રહ્યા છે. ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસે ખાસ કાળજી લીધી છે. શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીના દિવસે ભાવિકો માટે વિનામૂલ્યે ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે પોલીસે દરરોજ શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની સેવા પણ શરૂ કરી છે.વેરાવળમાં પોલીસ વિભાગના RO પ્લાન્ટમાંથી શુદ્ધ પાણી સોમનાથ સુધી પહોંચાડવામાં આવે છે. દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને આ પાણી વિનામૂલ્યે મળે છે.તડકામાં દૂરથી પગપાળા કે વાહનોમાં સોમનાથ પહોંચતા ભક્તો માટે આ સેવા ઘણી મદદરૂપ છે. આવતીકાલથી અમાસ સુધી શ્રદ્ધાળુઓ માટે પોલીસ વિભાગ દ્વારા વિનામૂલ્યે ફરાળ અને શુદ્ધ પાણીની વ્યવસ્થા ચાલુ રહેશે. પોલીસ વિભાગ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરતું નથી. જરૂર પડે ત્યારે તે સેવા અને માનવતાનું ઉદાહરણ પણ પૂરું પાડે છે. સોમનાથમાં ભક્તિનો માહોલ છે અને આ વચ્ચે ગીર સોમનાથ પોલીસની સેવાભાવનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. “ભક્તોની સેવા એટલે ભગવાનની સેવા” ના ભાવ સાથે પોલીસ વિભાગની આ પહેલ વખાણવા લાયક છે. સોમનાથ મહાદેવના દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે પાણી અને ફરાળની આ મફત સેવા ભક્તિ અને માનવતાનો સુંદર સંગમ બની છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *