પ્રસિદ્ધ તીર્થધામ ગીર સોમનાથના પ્રભાસ ક્ષેત્રમાં આવેલા ત્રિવેણી સંગમ ઘાટ પર પવિત્ર સ્નાન કર્યા બાદ કપડાં બદલવાની સુવિધા ન મળતાં યાત્રિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. કરોડના વિકાસકામો વચ્ચે મહિલા શ્રદ્ધાળુઓ જાહેરમાં કપડાં બદલવા મજબૂર બની છે. દિવ્ય ભાસ્કરની તપાસમાં અગાઉના રૂમ ચણી દેવાયા હોવાનું અને પ્લાસ્ટિકના બોક્સ ખંડેર હાલતમાં પડ્યા હોવાનું સામે આવતાં સોમનાથ મંદિર ટ્રસ્ટની બેદરકારી સામે આક્રોશ ઊભો થયો છે. સ્થાનિક ચેન્જિંગ રૂમ પર દીવાલો સંગમ ઘાટ પર અગાઉ બનેલા ચેન્જિંગ રૂમ આગળ દીવાલ ચણીને જગ્યા કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. યાત્રિકો માટે થોડા સમય પહેલાં મૂકેલા પ્લાસ્ટિકના ચેન્જિંગ બોક્સ પણ હાલ નજીકના વાડામાં ખંડેર હાલતમાં પડ્યા છે. મહિલા શ્રદ્ધાળુઓની સુરક્ષા સામે સવાલ પવિત્ર સ્નાન કર્યા પછી સલામત જગ્યા ન મળતાં શ્રદ્ધાળુઓને આસપાસના વાડા કે આડશ શોધવી પડે છે. સુરક્ષિત વ્યવસ્થાના અભાવે મહિલાઓને અત્યંત શરમજનક સ્થિતિમાં જાહેરમાં કપડાં બદલવાની ફરજ પડે છે. પાયાની સુવિધાઓનો ઘાટ પર અભાવ દેશ-વિદેશથી આવતા લાખો યાત્રિકો માટે સોમનાથમાં ભવ્ય વિકાસના દાવો કરવામાં આવે છે. બીજી તરફ પવિત્ર સ્નાનઘાટ પર શૌચાલય, ચેન્જિંગ રૂમ અને મહિલા સુરક્ષા જેવી પાયાની સુવિધાઓનો ભારે અભાવ દેખાઈ રહ્યો છે. મંદિર ટ્રસ્ટના મેનેજરનો ખુલાસો ત્રિવેણી સંગમ ઘાટનું સંચાલન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યુ હતું કે સફાઈ કામગીરીના કારણે ઘાટ પરથી પ્લાસ્ટિકના ચેન્જિંગ રૂમ કામચલાઉ હટાવવામાં આવ્યા હોઈ શકે છે. યાત્રિકોની તાત્કાલિક સુવિધાની માંગ યાત્રિકો અને સ્થાનિકોમાં ટ્રસ્ટની બેદરકારી સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પુરુષો અને મહિલાઓ માટે અલગ, સ્વચ્છ અને સુરક્ષિત ચેન્જિંગ રૂમ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
સોમનાથ ત્રિવેણી સંગમ ઘાટ પર ચેન્જિંગ રૂમ બંધ:મહિલા શ્રદ્ધાળુઓ ખુલ્લામાં કપડાં બદલવા મજબૂર; સોમનાથ ટ્રસ્ટના પ્લાસ્ટિક બોક્સ વાડામાં ખંડેર થયા
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
