ગીર સોમનાથ જિલ્લામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સંચાલિત સંસ્કૃત કોલેજના NSS એકમ દ્વારા “ખેલો ઇન્ડિયા સંવાદ” કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રમતગમત અંગેના સંવાદનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. NSS સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ સવારે ૧૦:૪૫ થી બપોરે ૧૨:૪૦ વાગ્યા સુધી યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં રમતગમતના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે યુવાનોને નવી રમતો શીખવા અને તેમાં ભાગ લેવા પ્રેરણા આપી, જેથી ભારત અને તેમના પ્રદેશનું ગૌરવ વધે. વડાપ્રધાને જણાવ્યું કે ઘણા યુવાનો વિશ્વ કક્ષાની ઇવેન્ટ્સમાં ભાગ લેતા નથી, તેથી ભારતીય યુવાનોએ તમામ સંગઠિત રમતગમત કાર્યક્રમોમાં ભાગ લઈને મેડલ જીતવા જોઈએ. વડાપ્રધાને ઉમેર્યું કે રમતગમત દિનચર્યાને વ્યવસ્થિત અને ઉર્જાવાન બનાવે છે. તેમણે પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનારા યુવાનોને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે દેશમાં પ્રતિભાની કોઈ કમી નથી. યુવાનો દરેક ક્ષેત્રમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે. સરકારે યુવાનોને સમયસર જરૂરી રમતગમત સુવિધાઓ પૂરી પાડી છે, જેના કારણે છેલ્લા ૧૨ વર્ષમાં રમતગમતમાં યુવાનોનો રસ વધ્યો છે. આ કાર્યક્રમમાં આદર્શ રમતવીર કવિ બેન વાલાએ વિદ્યાર્થીઓને રમતગમતમાં રસ લેવા પ્રેરણા આપી અને પોતાના અનુભવો શેર કર્યા. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ શિક્ષક ડૉ. જયેશ મુંગરાએ સરકાર દ્વારા પ્રાયોજિત વિવિધ રમતગમત કાર્યક્રમો પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું અને રમતગમત તથા કસરતના ફાયદાઓ સમજાવી યુવાનોને પ્રોત્સાહિત કર્યા. વિદ્યાર્થીઓએ માય ભારત પોર્ટલ પર નોંધણી કરાવી પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી હતી અને પ્રતિસાદ તથા સૂચનો પણ આપ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન NSSના સંયોજક અને પ્રોગ્રામ ઓફિસર ડૉ. નિત્યાનંદ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું. NSS વિદ્યાર્થી અને માય ભારતના જિલ્લા સંયોજક અમન જી. સૈયદ પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના વિદ્યાર્થી આશ્કા લાબડિયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
સોમનાથ યુનિવર્સિટીમાં 'ખેલો ઇન્ડિયા સંવાદ' કાર્યક્રમ યોજાયો:PM મોદીએ યુવાનોને રમતગમતમાં ભાગ લેવા પ્રેરણા આપી
📅 Published: September 1, 2026 |
📂 Category: gujarati-news
