સોમનાથ યુનિવર્સિટીમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી:વૈદિક ગ્રંથો અને સ્પર્ધાઓ સાથે વિશેષ પ્રદર્શન યોજાયું,વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી

📅 Published: August 29, 2026 | 📂 Category: gujarati-news

વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત સંસ્કૃત ભાષાની અસ્મિતા દર્શાવતી વિશેષ પ્રદર્શનીનું આયોજન થયું હતું. વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં સંસ્કૃત પ્રત્યે રસ અને જાગૃતિ કેળવાય તે મુખ્ય હેતુ હતો. આ પ્રસંગે વકતૃત્વ, ચિત્ર, ગીત-ગાન અને શ્લોકગાન જેવી વિવિધ સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. પ્રદર્શનીમાં સંસ્કૃત ભાષાનો વ્યાપક ઉપયોગ સરળ અને રસપ્રદ રીતે રજૂ કરાયો હતો. તેમાં ભારતના વિવિધ પ્રદેશો, નદીઓ, ભૌગોલિક સ્થળો, રમતો, ફળ-ફૂલ, ઘરવખરીની ચીજવસ્તુઓ અને અન્ય ઉપયોગી વસ્તુઓના સંસ્કૃત નામોની યાદી પ્રદર્શિત કરાઈ હતી. વધુમાં, વિજ્ઞાનના પ્રયોગો, માનવ શરીરના અંગો અને વિવિધ શારીરિક ભાવ-ભંગિમાઓને સંસ્કૃત ભાષા સાથે જોડીને દર્શાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ આ દ્વારા સંસ્કૃત અને વિજ્ઞાન વચ્ચેનો રસપ્રદ સમન્વય જોયો હતો. પ્રદર્શનીનું મુખ્ય આકર્ષણ વૈદિક અને પ્રાચીન સાહિત્યિક ગ્રંથોનું પ્રદર્શન હતું. તેમાં અગ્નિમહાપુરાણ, ભવિષ્યમહાપુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, વાયુપુરાણ, સંક્ષિપ્ત નારદપુરાણ અને પદ્મમહાપુરાણ જેવા મહત્વપૂર્ણ ગ્રંથો મુલાકાતીઓ માટે મૂકવામાં આવ્યા હતા. આ પ્રદર્શનીએ સંસ્કૃતના સમૃદ્ધ સાહિત્ય અને જ્ઞાન પરંપરાની ઝલક આપીને વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને આકર્ષ્યા હતા. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ પ્રદર્શનીની મુલાકાત લીધી હતી. તેમણે સંસ્કૃત ભાષાની વૈજ્ઞાનિકતા, ઐતિહાસિકતા અને સાંસ્કૃતિક મહત્વ વિશે માહિતી મેળવી. વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો અને સંસ્કૃત ભાષા પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો. આ પ્રદર્શની દ્વારા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને સંસ્કૃત ભાષાના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વૈશ્વિક મહત્વથી માહિતગાર કરાયા. આ આયોજનનો હેતુ પ્રાચીન સંસ્કૃત ભાષાને આધુનિક પેઢી સુધી રસપ્રદ અને વ્યવહારુ સ્વરૂપે પહોંચાડવાનો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *