સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત તા.21 થી 30 એપ્રિલ દરમિયાન બી.કોમ. સેમેસ્ટર – 2 ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 17,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ ગઈકાલે 18 ઓગસ્ટના સાડા ત્રણ માસ બાદ જાહેર થયું અને તેમાં પણ પેપર ચેકીંગમાં છબરડાં સામે આવ્યા છે. બી.કોમ. સેમેસ્ટર- 2 માં બિઝનેસ એકાઉન્ટીંગ અને ફાઈનાન્સિયલ એકાઉન્ટીંગ એમ 2 વિષયમાં 50 ટકા જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જેમાં કેટલાક ટોપર્સ વિદ્યાર્થીઓ પણ છે કે જેઓને અન્ય વિષયમાં 70 થી વધુ માર્ક્સ છે. જેથી અધ્યાપકો દ્વારા પેપર ચેકીંગમાં ગંભીર બેદરકારી દાખવી વિદ્યાર્થીઓને ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી કોંગ્રેસના ઝોનલ પ્રવક્તાએ વિદ્યાર્થીઓનું હાલ જાહેર થયેલું પરિણામ તાત્કાલિક રદ કરી નવી સખી પરિણામ જાહેર કરવામાં આવે અને પેપર ચેકીંગમાં ગોટાળા કરતા અધ્યાપકો સામે કડક દંડ અને સજા સહિતની કાર્યવાહી થાય તેવી માંગ કરી છે અન્યથા અચોક્કસ મુદ્દત પર ભૂખ હડતાલની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. બિઝનેસ એકાઉન્ટીંગ, ફાઈનાન્સિયલ એકાઉન્ટીંગમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ફેઇલ વિદ્યાર્થી નેતા અને ગુજરાત કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, બી.કોમ.સેમ -2 ના પરિણામમાં બિઝનેસ એકાઉન્ટીંગ અને ફાઈનાન્સિયલ એકાઉન્ટીંગમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ફેઇલ થયા છે. જેથી તાકીદે પરિણામ પરત ખેંચીને ફરીથી પેપર મૂલ્યાંકન થવું જોઈએ અને પેપર મૂલ્યાંકનમાં ગરબડ કરનારા અધ્યાપકોને કડક દંડ અને સજા કરવામાં આવે તેવી માંગ છે.વિદ્યાર્થીઓને પરીક્ષામા પોતે જે રીતે લખ્યું એ રીતે માર્ક મળવા જોઈએ અને તે સુધારો નહીં થાય તો આવનારા દિવસોમાં અચોક્કસ મુદત પર ભૂખ હડતાલ કરીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવા નિમણૂક પામેલા પરીક્ષા નિયામક માત્ર સિદ્ધાંતોની વાતો કરે છે પણ વાસ્તવમા હજુ કોઈ પરીક્ષા વિભાગમા ફેર નથી પડ્યો. વિદ્યાર્થીઓ દિવસ – રાત મહેનત કરી પરિક્ષાઓ આપે છે અને તે બાદ બાદ ઉત્તરવહીનું મૂલ્યાંકન આડેધડ જ થાય છે. અમને મળેલી માહિતી પ્રમાણે ઉત્તરવહીનું મૂલ્યાંકન કરતા અધ્યાપકોનુ આપવામાં આવતું ભથ્થું છેલ્લા ઘણા સમયથી બાકી છે એટલે કોઈ પેપર મૂલ્યાંકન કરવા આવતા નથી તે શરમજનક છે. તેમણે જણાવ્યું કે, યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ઉત્પલ જોશીને સંઘના અને ભાજપના કાર્યક્રમો પાછળ તાયફાઓ કરવાના પૈસા છે પણ વિદ્યાર્થીઓના પરિણામો સાથે સંકળાયેલ ગંભીર મુદ્દે પૈસા નથી આપતા તે કેટલું વ્યાજબી? પરીક્ષાઓના પેપર મૂલ્યાંકન માટે જે 10 કો – ઓર્ડિનેટરો નિમ્યા છે તે બધા કુલપતિના મળતિયાઓ અને ચોક્કસ જ્ઞાતિના છે જેની પાસે વહીવટી આવડત નથી એટલે પરીક્ષાઓમાં પરિણામોમાં લાલીયાવાડી ચાલે છે. આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. ધીરેન પંડ્યાએ જણાવ્યું હતું કે, બી.કોમ. સેમેસ્ટર – 2 માં 10 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હશે. જોકે તેમાં વધુ થયા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો તેવી કોઈ બાબત હાલ મારા ધ્યાનમાં આવી નથી. તપાસ કરીને કહી શકું.
સૌરાષ્ટ્ર યુનિ.માં બી.કોમ.સેમ.2 માં 50% વિદ્યાર્થીઓ નાપાસ થતા ઊહાપોહ:17 હજાર છાત્રોનું સાડા ત્રણ મહિને છબરડાંવાળું પરિણામ જાહેર, નવેસરથી રિઝલ્ટ જાહેર નહીં થાય તો ભૂખ હડતાલની ચિમકી
📅 Published: August 19, 2026 |
📂 Category: gujarati-news
