હળવદમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા જાગૃતિબેન જોબનપુત્રાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. શિક્ષકો માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર, શિસ્ત, રાષ્ટ્રભાવના અને જીવનમૂલ્યોનું સિંચન કરીને રાષ્ટ્રના ઘડવૈયા તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં શિક્ષકોએ બદલાતા શૈક્ષણિક પડકારોને સ્વીકારી સમાજને સજાગ અને સંસ્કારી પેઢી આપવાનો સંકલ્પ કરવો જરૂરી છે. શિક્ષકનું સામાજિક ગૌરવ વધે, શિક્ષણક્ષેત્રમાં સકારાત્મક વાતાવરણ ઊભું થાય અને સમાજમાં શિક્ષક પ્રત્યે આદરભાવ વધે તેવા રચનાત્મક કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવે છે, જેમાં ગુરુવંદન કાર્યક્રમ તેનો જ એક ભાગ છે. મહાસંઘની રચનાત્મક પ્રવૃત્તિઓ, સમાજલક્ષી અભિયાનો અને શિક્ષક હિતના વિવિધ કાર્યક્રમોની માહિતી આપતાં જણાવાયું હતું કે, સંગઠન શિક્ષક, શિક્ષણ અને રાષ્ટ્રહિતના ત્રિવેણી ધ્યેય સાથે સતત કાર્ય કરી રહ્યું છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુરુવંદના, શિક્ષક ગૌરવ અને રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકની ભૂમિકા અંગે પ્રેરણાદાયી વાતાવરણ સર્જાયું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લાના મંત્રી પ્રવિણભાઈ ધોળુ અને તાલુકાના અધ્યક્ષ વાસુદેવભાઈ ભોરણીયાએ પણ શિક્ષકનું મહત્વ અને ગુરુઓની ગરિમા વિશે પ્રવચનો આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈક્ષિક મહાસંઘ હળવદની સમગ્ર તાલુકા ટીમે હાજરી આપી હતી.
હળવદમાં શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો:શિક્ષકોના સન્માન અને રાષ્ટ્રનિર્માણમાં ભૂમિકા પર ભાર મુકાયો
📅 Published: August 22, 2026 |
📂 Category: gujarati-news
