હારીજ કોલેજમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી:વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો

📅 Published: August 31, 2026 | 📂 Category: gujarati-news

હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજમાં સંસ્કૃત વિભાગ દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે વિદ્યાર્થીઓમાં જાગૃતિ તથા ગૌરવની ભાવના કેળવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમોની શરૂઆત સંસ્કૃત ગૌરવ યાત્રાથી થઈ હતી. વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાના મહત્વ અને ગૌરવને ઉજાગર કરતા સંદેશાઓ સાથે આ યાત્રામાં ભાગ લીધો હતો. ત્યારબાદ સ્તોત્ર ગાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ સંસ્કૃત સ્તોત્રોનું સુંદર ગાન રજૂ કર્યું. આ ઉપરાંત, સુભાષિત પાઠ દ્વારા સંસ્કૃતના જ્ઞાનસભર અને જીવનમૂલ્યો સાથે જોડાયેલા સુભાષિતો રજૂ કરાયા હતા. કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સંસ્કૃત કૃતિઓનો કૃતિ પરિચય પણ આપવામાં આવ્યો, જેનાથી સંસ્કૃત સાહિત્યની સમૃદ્ધ પરંપરા અને વિવિધ સાહિત્યિક કૃતિઓ વિશે સૌને માહિતગાર કરાયા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત ભાષાની વૈવિધ્યસભરતા, પ્રાચીનતા અને સાંસ્કૃતિક મહત્ત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું. સંસ્કૃત વિભાગના અધ્યાપકો ડૉ. નરેન્દ્ર રાવલ અને ડૉ. મનોજ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમને વિદ્યાર્થીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગે કૉલેજના આચાર્ય ટી.પી. આનંદના પ્રેરક માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્કૃત વિભાગના અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *