રાજ્યના ITIમાં તાલીમ લઈ રહેલા યુવાનોમાં શિસ્ત, વ્યાવસાયિકતા, આત્મવિશ્વાસ અને આગવી ઓળખ વિકસે તે હેતુથી ગુજરાત સરકારે ‘ગણવેશ સહાય યોજના’નો રાજ્યવ્યાપી પ્રારંભ કર્યો છે. અમદાવાદની કુબેરનગર ITI ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા અને ધારાસભ્ય ડૉ. પાયલ કૂકરાણીની ઉપસ્થિતિમાં યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યની 289 સરકારી ITIના અંદાજે 1.5 લાખ તાલીમાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. વર્ષમાં બે જોડી ગણવેશ માટે DBTથી ₹2 હજાર
મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ યોજના માટે નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં આશરે ₹30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. યોજના હેઠળ દરેક તાલીમાર્થીને વર્ષમાં બે જોડી ગણવેશ માટે તેમના બેંક ખાતામાં DBT મારફતે સીધા ₹2,000 જમા કરવામાં આવશે. મંત્રીના જણાવ્યા મુજબ ગણવેશ માત્ર એકરૂપતા માટે નહીં, પરંતુ ITIના વિદ્યાર્થીઓમાં શિસ્ત, વ્યાવસાયિકતા અને આત્મવિશ્વાસ વધારવા માટે પણ મહત્વપૂર્ણ બનશે. ITIમાં પ્રવેશ માટે 90થી 95% બેઠકો ભરાઈ
કૌશલ્ય આધારિત શિક્ષણ તરફ યુવાનોનો વધતો રસ દર્શાવતા બાવળિયાએ કહ્યું કે રાજ્યની ITIમાં પ્રવેશ માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે 90થી 95 ટકા જેટલી બેઠકો ભરાઈ ચૂકી છે. આધુનિક ટેક્નોલોજી આધારિત તાલીમમાં પણ ITI બેકગ્રાઉન્ડ ધરાવતા વિદ્યાર્થીઓ આગળ આવી રહ્યા છે. કૌશલ્યા ધી સ્કીલ યુનિવર્સિટી (KSU)માં ચાલી રહેલી એડવાન્સ્ડ ડ્રોન ટેક્નોલોજીની તાલીમમાં આશરે 35 વિદ્યાર્થીઓમાંથી લગભગ 50 ટકા વિદ્યાર્થીઓ ITI બેકગ્રાઉન્ડ ધરાવે છે. વિદેશમાં પણ રોજગાર મળે તે દિશામાં ITIને અપગ્રેડ કરાશે
રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047ના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યની ITI સંસ્થાઓને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની દિશામાં કામ થઈ રહ્યું છે, જેથી ગુજરાતના યુવાનો રાજ્ય અને દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ રોજગારી મેળવી શકે અને વૈશ્વિક સ્તરની સ્કીલ વિકસાવી શકે. ITIની વિદ્યાર્થીનીઓને ₹24 હજાર સુધીની સહાય
સરકારે ITIમાં પ્રવેશ મેળવનારી વિદ્યાર્થીનીઓ માટે પણ આર્થિક સહાયની જોગવાઈ કરી છે. ‘નમો કૌશલ્ય લક્ષ્મી યોજના’ હેઠળ પ્રથમ વર્ષે ₹15,000 અને બીજા વર્ષે ₹9,000 મળી કુલ ₹24,000ની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત દિવ્યાંગ તાલીમાર્થીઓને ITI કેન્દ્ર સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે ₹3,000ની મુસાફરી સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. કૌશલ્ય સ્પર્ધાના વિજેતાઓને ₹50 હજાર સુધીનું ઇનામ
તાલીમાર્થીઓમાં સ્પર્ધાત્મકતા અને ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવા ‘વિશ્વકર્મા કૌશલ્ય સ્પર્ધા’ યોજાશે. તેમાં વિજેતાઓને જિલ્લા કક્ષાએ ₹7,000, પ્રાદેશિક કક્ષાએ ₹25,000 અને રાજ્ય કક્ષાએ ₹50,000 સુધીના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ધારાસભ્ય ડૉ. પાયલ કૂકરાણીએ યુવાનોને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી કૌશલ્ય અને રોજગારની નવી તકોનો લાભ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે આજે ITIમાંથી પાસ થયેલા કેટલાક યુવાનો પોતે જ ઇન્ટરવ્યુઅર બનીને નવી પેઢીના વિદ્યાર્થીઓની પસંદગી કરવા પરત આવી રહ્યા છે.
10 કે તેથી વધુ શ્રમયોગીઓ હોય તો સંસ્થાની ઓનલાઈન નોંધણી ફરજિયાત
શ્રમિકોની સુરક્ષા, આરોગ્ય અને કામકાજની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા શ્રમ આયુક્તની કચેરીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં 10 કે તેથી વધુ શ્રમયોગીઓ ધરાવતા તમામ કારખાના, બાંધકામ સ્થળો, ઔદ્યોગિક તથા વ્યાપારી સંસ્થાઓ માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. આ નિર્ણય કેન્દ્ર સરકારના Occupational Safety, Health and Working Conditions Code, 2020 (OSHWC Code) તથા ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નિયમો અંતર્ગત લેવામાં આવ્યો છે. પાત્ર સંસ્થાઓએ ગુજરાત સરકારના શ્રમ સેતુ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. નવી સંસ્થાઓને 60 દિવસમાં નોંધણી કરાવવી પડશે
નવી સ્થાપિત થતી પાત્ર સંસ્થાઓએ કોડ લાગુ થયાના 60 દિવસની અંદર ‘ફોર્મ-1’ ઓનલાઈન ભરીને નોંધણી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. બીજી તરફ, જૂના શ્રમ કાયદા હેઠળ અગાઉથી નોંધાયેલી અને હાલ ચાલુ સંસ્થાઓએ કોડ અમલમાં આવ્યાના 180 દિવસની અંદર ફોર્મ-1 ઓનલાઈન ભરીને નોંધણી પ્રમાણપત્ર અપડેટ કરાવવું ફરજિયાત રહેશે. નોંધણી પ્રમાણપત્ર દેખાય તે રીતે રાખવું પડશે
સંસ્થાના માલિકોએ મેળવેલું નોંધણી પ્રમાણપત્ર સંસ્થાના મુખ્ય સ્થળે પ્રત્યક્ષ અથવા ડિજિટલ સ્વરૂપે સ્પષ્ટ દેખાય તે રીતે પ્રદર્શિત કરવું ફરજિયાત રહેશે. શ્રમ આયુક્તની કચેરીએ પાત્રતા ધરાવતી તમામ સંસ્થાઓને નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઈન નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપી છે.
