18 જીવિત કાચબા સાથે 2 શખસો ઝડપાયા:ઘરમાં કાચબો રાખવો શુભ હોવાની અંધશ્રદ્ધાનો લાભ લઈ વેચાણ કરતા, આંતરરાષ્ટ્રીય બજારમાં લાખોની કિંમત

📅 Published: September 17, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેપાર પર વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોએ લાલ આંખ કરી છે. સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે શેડ્યુલ-1 ની દુર્લભ પ્રજાતિના ‘ઇન્ડિયન સ્ટાર કાચબા’ (Star Tortoise) નો વેપાર થતો હોવાની ગુપ્ત બાતમીના આધારે અધિકારીઓએ મોટી કાર્યવાહી કરી છે. આ મેગા ઓપરેશનમાં વન વિભાગે આંતરરાષ્ટ્રીય બજારમાં 15 થી 20 લાખ રૂપિયાની કિંમત ધરાવતા 18 જેટલા સ્ટાર કાચબા સાથે 2 ઇસમોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગ્રાહક બનીને છટકું ગોઠવ્યું
મળેલી બાતમીના આધારે વન વિભાગના સ્ટાફે કોટ સફી રોડ, નવસારી બજાર સ્થિત ‘સુરત એન્ટરપ્રાઇઝ’ ખાતે એક ડમી ગ્રાહક મોકલીને છટકું ગોઠવ્યું હતું. ડમી ગ્રાહક દ્વારા કાચબા ખરીદવાની માંગણી કરતા દુકાનદાર દિનેશભાઈ કનકાભાઈ ઠાકોરે અન્ય આરોપી શેખ મોહમ્મદ અઝહરને ફોન કરીને તેના રહેણાંક મકાનેથી 18 કાચબા દુકાને મંગાવ્યા હતા. દુકાને કાચબા લઈને આવતા જ બંને આરોપીઓને વન વિભાગે રંગેહાથ દબોચી લીધા હતા અને માત્ર 1800 રૂપિયામાં ડીલ નક્કી કરતા પકડી પાડ્યા હતા. અંધશ્રદ્ધાના કારણે કાળાબજાર
કાચબાના આ ગેરકાયદે વેપાર પાછળ મુખ્ય કારણ લોકોમાં વ્યાપેલી અંધશ્રદ્ધા છે. લોકોમાં એવી ખોટી માન્યતા છે કે ઘરમાં ઇન્ડિયન સ્ટાર કાચબો રાખવાથી શુભ થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ જ અંધશ્રદ્ધાનો લાભ લઈને આરોપીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં 25 હજારથી 1 લાખ રૂપિયામાં વેચાતા આ કાચબાનો ગેરકાયદેસર વેપાર ચલાવી રહ્યા હતા. સામાન્ય લોકોને ખ્યાલ હોતો નથી કે આ કાચબાને ઘરમાં રાખવો એ વન્યજીવ કાયદા મુજબ ગંભીર ગુનો બને છે. ડુમસ વન વિભાગના RFOનું નિવેદન
આ સમગ્ર ઓપરેશન અંગે ડુમસના આરએફઓ પૃથ્વીરાજસિંહ વાઘેલાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમને વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો દ્વારા ખાનગી રાહે બાતમી મળી હતી કે ઉધના દરવાજા ખાતે ઇન્ડિયન સ્ટાર ટર્ટલનો ગેરકાયદેસર વેપાર થઈ રહ્યો છે. જેથી અમે સ્ટાફ સાથે ગ્રાહક બનીને છટકું ગોઠવ્યું હતું. અમે દિનેશભાઈ અને શેખ મોહમ્મદ નામના 2 આરોપીઓને 18 કાચબા સાથે ઝડપી પાડ્યા છે. લોકોમાં કાચબો ઘરમાં રાખવો શુભ માનવામાં આવે છે, પરંતુ તેને ઘરમાં રાખવો એ મોટો ગુનો છે. હાલ આરોપીઓ આ કાચબા ક્યાંથી લાવ્યા, કોણે આપ્યા અને કેટલા સમયથી વેચે છે તે અંગેની સઘન પૂછપરછ અને તપાસ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલુ છે.”


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *