“મારી વાણી મારું સ્વરૂપ છે ને હું પ્રત્યક્ષ બોલું છું”-ભગવાન સ્વામિનારાયણે પોતાના હરિભક્તોને આપેલું આ વચન શિક્ષાપત્રીનું સાચું મહાત્મ્ય સમજાવે છે. ભગવાને સ્વહસ્તે રચેલી આ દિવ્ય શિક્ષાપત્રી આજે પણ વિશ્વભરના અનુયાયીઓને જીવનના દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપે છે. 212 શ્લોકોનો અમૂલ્ય ગ્રંથરત્ન
વડતાલમાં ભગવાન સ્વામિનારાયણે રચેલી 212 શ્લોકોની શિક્ષાપત્રી માત્ર ધાર્મિક ગ્રંથ નથી, તે એક સમગ્ર જીવન માર્ગદર્શિકા છે. તેમાં સમાજને ઉન્નત બનાવવાના નિયમો અને આદર્શો ખૂબ જ સ્પષ્ટ રીતે લખેલા છે. શિક્ષાપત્રીમાં નિયમો નિર્ધારિત છે: સંતો અને ગૃહસ્થો માટે, સંખ્યા‑યોગિ બાઈઓ માટે, આચાર્ય અને ધાર્મિક આગેવાનો માટે, પુરુષ અને સ્ત્રી હરિભક્તો માટે, નિયોજકો અને રાજાઓ માટે અને તો વ્યવસાયિક ભાગીદારી, ધિરાણ‑ઉધાર, વ્યવહારની નૈતિકતા જેવા વિષયો માટે પણ. 19મી સદીમાં લખાયેલો ગ્રંથ
એક વખત સર મેલ્કમે ભગવાન સ્વામિનારાયણને કહ્યું હતું કે જો સમગ્ર વિશ્વ શીખ્ષાપત્રીમાં જણાવેલા નિયમો અને આજ્ઞાઓનું પાલન કરે, તો પોલીસની જરૂર જ ન પડે. 19મી સદીમાં લખાયેલ આ ગ્રંથમાં સમાજવ્યવહાર, સ્વચ્છતા, આર્થિક નૈતિકતા, ભક્તિ, કરુણા અને જીવનશિસ્ત જેવા વિષયોનો સમાવેશ થવો એ અદભૂત ચમત્કાર છે. વિશ્વને મળેલું અમૂલ્ય ભેટ
આ વર્ષે શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના અવસર પર સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં આનંદની લાગણી છલકાય છે. 26 ફેબ્રુઆરી 1830ના રોજ, ભગવાન સ્વામિનારાયણે પોતાના માનવી સ્વરૂપ દરમિયાન મૂળ હસ્તલિખિત શિક્ષાપત્રી બ્રિટિશ બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નર સર જૉન મેલ્કમને ભેટ આપી હતી. સર મેલ્કમ ભગવાનના સુધારક કાર્ય અને સમાજસેવા થી અત્યંત પ્રભાવિત હતા. તેમણે આ ગ્રંથને વિશેષ સન્માન સાથે સાચવ્યો અને બાદમાં તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની બોડલિયન લાઇબ્રેરીમાં સોંપવામાં આવ્યો, જ્યાં તે આજે પણ અમૂલ્ય ઐતિહાસિક ધરો તરીકે સુરક્ષિત છે. કિંગ્સબરીમાં શિક્ષાપત્રીનું ભવ્ય આગમન
આ પવિત્ર શિક્ષાપત્રીને કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન માટે લાવવામાં આવતા સમગ્ર વિસ્તાર ભક્તિભાવથી છલકાયો. આચાર્ય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રીનું ભવ્ય સ્વાગત કર્યું, પૂજન કર્યું અને હાર અર્પણ કર્યો. ભગવાનના વચન “મારી વાણી મારું સ્વરૂપ છે” ને અનુરૂપ શિક્ષાપત્રીને ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપ સમાન માન આપી પાલખીમાં સ્થાપિત કરવામાં આવી. શિક્ષાપત્રીને ભવ્ય રીતે આવકારવામાં આવી
મુક્તજીવન પાઇપ બેન્ડના સલામી અને માર્ચપાસ્ટ સાથે શિક્ષાપત્રીને મંદિરના પ્રાંગણમાં ભવ્ય રીતે આવકારવામાં આવી. મંદિરના મુખ્ય મંડપમાં શિક્ષાપત્રીને ઉચ્ચ ગાદી પર સ્થાપિત કરવામાં આવી અને આચાર્યશ્રીએ આરતી કરી. સૈંકડો હરિભક્તો આ ઐતિહાસિક પળના દર્શન કરવા ઉમટી પડ્યા. જાહેર દર્શન માટે ખુલ્લું
શિક્ષાપત્રી 25 ઓગસ્ટ સુધી કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરમાં જાહેર દર્શન માટે ખુલ્લી રહેશે, ભગવાન સ્વામિનારાયણની સ્વહસ્તે લખેલી આ દિવ્ય કૃતિને નજીકથી નિહાળવાનો દુર્લભ અવસર. દિવ્ય ભાસ્કર માટે સુર્યકાંત જાદવાનો રિપોર્ટ
19મી સદીમાં લખાયેલો ગ્રંથ શિક્ષાપત્રીના 200 વર્ષ:કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરમાં ઐતિહાસિક દર્શનનો અવસર, જીવનને સંસ્કારી બનાવતો 212 શ્લોકોનો અમૂલ્ય ગ્રંથરત્ન
📅 Published: August 27, 2026 |
📂 Category: gujarati-news
