77મો વન મહોત્સવ પ્રાઇવેટ સંસ્થામાં યોજાતાં ચર્ચા જાગી ​:જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવમાં સરકારી શાળાને બદલે ખાનગી સંસ્થા પસંદ કરાઈ, મંત્રી કૌશિક વેકરીયાની હાજરીમાં વૃક્ષારોપણ યોજાયું

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

​જૂનાગઢમાં સામાજિક વનીકરણ રેન્જ જૂનાગઢ અને ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે મહાનગરપાલિકા કક્ષાના 77મા વન મહોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ સરકારી કાર્યક્રમમાં કોઈ સરકારી શાળા કે સંસ્થાને બદલે ખાનગી શૈક્ષણિક સંસ્થામાં આયોજન કરાયું હોવાની બાબત ભારે ચર્ચાનો વિષય બની છે. સરકારી તંત્ર દ્વારા સરકારી શાળાઓને વિસરાઈને પ્રાઇવેટ સંસ્થામાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો, જ્યાં ‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંચ પરથી મહાનુભાવો દ્વારા વૃક્ષોના જતન અને ઉછેર અંગે વિવિધ વક્તવ્યો આપવામાં આવ્યા હતા. ​કાર્યક્રમના અધ્યક્ષ અને ઉર્જા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે વૃક્ષ અને માનવ વચ્ચેનો સંબંધ અત્યંત ગાઢ અને અનોખો છે. મનુષ્યના જન્મથી લઈને તેના મૃત્યુ સુધી વૃક્ષો સતત સાથે રહે છે. બાળકના જન્મ સમયે લાકડાના ઘોડિયા અને રમકડાંથી શરૂ થતી સફર જીવનના અંતિમ તબક્કે લાકડાની ચિતા સુધી પહોંચે છે. ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષને દેવતુલ્ય ગણીને પૂજવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઓગસ્ટ માસમાં સમગ્ર રાજ્યમાં ‘એક પેડ મા કે નામ’ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગ્લોબલ વોર્મિંગ અને ભૂતકાળમાં ઓક્સિજનની અછત જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે વૃક્ષારોપણ અનિવાર્ય છે. દરેક નાગરિકે પોતાના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછા 15 વૃક્ષો વાવીને તેનું જતન કરવું જોઈએ. ​આ સરકારી કાર્યક્રમ જે ખાનગી સંસ્થા એટલે કે જાવીયા શૈક્ષણિક સંકૂલમાં યોજાયો હતો, ત્યાંના વિદ્યાર્થીઓ દ્વારા 1200 જેટલા વૃક્ષોના ઉછેરની જવાબદારી લેવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 15 જેટલા વન કવચ નિર્માણ કરવાની કામગીરી ચાલી રહી છે, જેનાથી પ્રવાસનને પ્રોત્સાહન મળશે અને સ્થાનિકોને હરિયાળું વાતાવરણ મળશે. કૌશિક વેકરીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વની પ્રશંસા કરીને પર્યાવરણ જાગૃતિની આ ઝુંબેશમાં તમામ નાગરિકોને સક્રિયપણે જોડાવા આહ્વાન કર્યું હતું. ​ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલા આ અભિયાનનો મુખ્ય હેતુ એ છે કે દરેક નાગરિક માતાની જેમ જ વૃક્ષનું પાલનપોષણ કરે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં મિયાવાકી પદ્ધતિથી ગાઢ વન કવચ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે સામાન્ય જંગલ કરતાં વધુ ઝડપથી વિકાસ પામે છે. તેમણે પણ નાગરિકોને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સમજીને વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી. ​આ સરકારી કાર્યક્રમમાં વન વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ અને શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર અને મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક નૃત્ય, યોગ પ્રદર્શન અને વક્તૃત્વ સ્પર્ધા રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે નિઃશુલ્ક છોડ વિતરણ માટે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગીર સોમનાથ આરએફઓ સુ નાણાવટીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને એઆરએફઓ એમ.આર. ઓડેદરાએ આભારવિધિ કરી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *