જૂનાગઢ જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અત્યંત ઉત્સાહ, ગર્વ અને દેશભક્તિસભર વાતાવરણમાં ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જૂનાગઢ શહેર તેમજ વિવિધ તાલુકાઓ, શાળાઓ, કૉલેજો અને શૈક્ષણિક તથા સામાજિક સંસ્થાઓમાં આણ, બાન અને શાન સાથે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર જૂનાગઢ પંથક દેશભક્તિના રંગે રંગાયો હતો અને તમામ નાગરિકોમાં અનોખો રાષ્ટ્રીય જુસ્સો જોવા મળ્યો હતો. ગિરનારની પવિત્ર ભવનાથ તળેટી સ્થિત રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે ઇન્દ્રભારતી બાપુના હસ્તે ગૌરવપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાધુ-સંતો, રાજકીય આગેવાનો, પત્રકાર મિત્રો અને વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી દેશના વીર શહીદોને નમન કરી ભાવાંજલિ અર્પિત કરી હતી. આ તકે ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે, 80મા રાષ્ટ્રીય મહાપર્વ પર ગિરનાર મંડળના સંતો, આગેવાનો અને પત્રકાર મિત્રો દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્ર વંદના કરીને ત્રિરંગાની આન, બાન અને શાન સાથે દેશભક્તિ ઉજાગર કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘હર ઘર ત્રિરંગા’ અભિયાન પણ એક મહાન રાષ્ટ્રભક્તિનું અભિયાન છે. ચંદ્રયાન દ્વારા ચંદ્ર પર પણ આપણો ત્રિરંગો લહેરાયો છે. આ મહાપર્વે સરહદ પર દેશનું રક્ષણ કરતા નવજવાનોને ભગવાન દીર્ઘાયુ આપે તેવી પિનાક પાણિ શિવજીને પ્રાર્થના કરું છું અને દેશ માટે શહીદી વહોરનાર વીરોને શ્રદ્ધાંજલિ અર્પું છું. બીજી તરફ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માળીયા હાટીનાના સમસ્ત હાટી ક્ષત્રિય સમાજ ખાતે જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉર્જા અને કાયદા રાજ્ય મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ મંત્રીએ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને પ્રજાજનોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી હતી. આ વિશેષ પ્રસંગે માળીયા હાટીના તાલુકાના વિકાસ કાર્યો માટે મંત્રીના હસ્તે 25 લાખ રૂપિયાનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સમારોહમાં શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિસભર રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન કાર્યક્રમ માળીયા હાટીનામાં સફળતાપૂર્વક સંપન્ન થયો છે. કાર્યક્રમ દરમિયાન વચ્ચે વરસાદ પડ્યો હોવા છતાં બાળકોનો જોશ અને ઉત્સાહ અદભુત અને જોવા લાયક હતો. કાર્યક્રમના અંતે સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓ તેમજ રમતગમત ક્ષેત્રે ઝળકેલા પ્રતિભાશાળી રમતવીરોનું બહુમાન કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
80મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિસભર અને ઉત્સાહપૂર્વક ઉજવણી:જૂનાગઢમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: ભવનાથમાં સાધુ-સંતો અને માળીયા હાટીનામાં રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા ધ્વજવંદન કરાયું
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
