ભુજ થી ખાવડા જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (સ્ટેટ)નો માર્ગ ઘણા સમયથી ભારે વાહનોને કારણે સતત તૂટતો રહ્યો છે અને રીપેરીંગ પણ થાય છે. થોડા સમય પહેલા લોરીયા થી બિબ્બર (ભુજ નખત્રાણા માર્ગ) સુધી 22 કિલોમીટર રસ્તાના સુધારણાનું કામ પણ વિવાદમાં પડ્યું છે. સ્થાનિક અગ્રણીઓ અને પંચાયતના સભ્યોના આક્ષેપ મુજબ નિરોણા ગામમાંથી પસાર થતો 1200 મીટરનો સીસી રોડ જૂની સડક ખોદીને નવો બનાવવાને બદલે જેમ છે તેના પર સિમેન્ટનું સ્તર ચડાવતા દિવાળી પર કામ અટકાવ્યું હતું. નિરોણા પાસે સીસી રોડ અટકાવવા બાબતે ગામ અગ્રણી વિરમભાઈ આહિરે જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડની સુધારણાનું કામ થઈ રહ્યું છે. આ ડામર વર્ક કરતી વખતે સાઇડ સોલ્ડર ભરતી કરવાની હોય તેમાં ઠેકેદારને ફાયદો કરાવીને સિમેન્ટ માટેના રસ્તામાંથી નીકળતા મલબાને જ પાથરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં ડામર કામ કરવા માટે જુના રોડને ખોદીને તેમાં 40% મોરમ, જીએસપી બાદ સિમેન્ટનું સ્તર બનવું જોઈએ તેને બદલે સીધો સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં ટેન્ડરમાં આઈટમ રેટ મુજબ થાય તો જ મજબૂત માર્ગ બને. નિરોણા ગ્રામ પંચાયતના સદસ્યો તથા ગ્રામજનોએ આ જ કારણસર દિવાળી પર કામ અટકાવ્યું હતું જે ફરીથી બે દિવસ પહેલા શરૂ થતા કામની ગુણવત્તા બાબતે શંકા જતા લોકોએ સાથે મળીને ગુણવતાસભર કામ કરવા જ દેવાશે તેવું કહ્યું હતું. ગ્રામ પંચાયત સદસ્ય રાજેશ પુંજાલાલ ભાનુશાલી, વિશ્રામભાઇ આહીર, વાલાભાઈ, ઉંમરભાઈ કુંભાર સહિતનાઓ કામની ગુણવત્તા બાબતે નાયબ કાર્યપાલક સુધી રજૂઆત કરી હતી. જોકે સાઇટ વિઝીટ કરીને યોગ્ય કરવામાં આવશે તેવી ખાતરી મળ્યા બાદ કામ શરૂ થશે તેવું જાણવા મળ્યું છે.
રોડના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ:લોરિયા અને બિબ્બર માર્ગ સુધારણાની ગુણવતા નબળી જણાતા કામ અટકાવાયું
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
