આત્મનિર્ભર અભિયાન:શિશુવિહાર સંસ્થામાં ચાલતાં વર્ગમાં અત્યાર સુધીમાં 17 હજાર જેટલાં ભાઈઓ-બહેનોએ સીવણ તાલીમ પામી બન્યાં છે સ્વનિર્ભર

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

સ્વદેશી, સ્વનિર્ભર કે આત્મનિર્ભર વગેરે અભિયાનો અત્યારે સમગ્ર દેશમાં તેજ ગતિથી ચાલી રહેલ છે, પરંતુ ગોહિલવાડમાં તો સ્વતંત્રતા પહેલાં પણ આ પ્રવૃત્તિ ચાલતી હતી. ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં ત્યારથી સીવણ તાલીમ આપી બહેનો સ્વનિર્ભર થઈ રહેલ છે. મહાત્મા ગાંધીજીનાં તત્કાલીન સ્વદેશી વ્રતની વાત કરીએ કે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતની ઝુંબેશ જોઈએ… હેતુ સ્વનિર્ભર બનવાનો જ છે. શિશુવિહાર સંસ્થામાં ગોહિલવાડ રાજવી અને તત્કાલિન સામાજિક કાર્યકર્તાઓની દૂરંદેશી કાર્યપ્રણાલીનાં ફળ આજે પણ મળી રહ્યાં છે. ભાવનગરમાં આનંદ મંગળ મંડળ પરિવાર બહેનો દ્વારા શરૂ થયેલ સીવણ તાલીમ વર્ગ ઘણા વર્ષોથી આજે પણ શિશુવિહાર સંસ્થામાં શરૂ છે અને આજસુધીમાં 17 હજાર જેટલાં ભાઈઓ બહેનો સીવણ તાલીમ પામી બન્યાં છે સ્વનિર્ભર બન્યા છે, ત્યારે સ્વાતંત્ર્ય સેનાની બહેનો દુર્ગાબેન ભટ્ટ, સુમનબેન ચાતુર્વેદી, હિરાબેન ભટ્ટ અને લીલીબેન દવે સાથે જેતુબેન કપાસી દ્વારા પારિવારિક જૂથ રચીને આ મંડળની બહેનો માટે સામાજિક પ્રશ્નોને લઈને સહકારી હાટ, ઉત્સવોની ઉજવણી અને અક્ષરજ્ઞાન પ્રવૃત્તિ પ્રારંભ કરેલ. આ જૂથ દ્વારા ડબાના પતરા અને વાંસ વડે એક છાપરા જેવું બનાવાયું અને તેમાં શરૂ થયો સીવણ વર્ગ. અહીંયા 6 સીવણ સંચા શરૂ થયા અને આ બહેનોએ સ્વાવલંબનના પાઠ આરંભ્યાં હતો. ગોહિલવાડ રાજ્ય તરફથી એટલે કે, આપણાં રાજવી કૃષ્ણકુમારસિંહજી દ્વારા વર્ષ 1939માં અપાયેલ જમીન ઉપર સ્થપાયેલ શિશુવિહાર સંસ્થામાં આજે આઠ નવ દાયકાથી સીવણ વર્ગ ચાલી રહેલ છે. આજ સુધીમાં આશરે 12 હજાર બહેનો અને રાત્રી વર્ગથી આશરે 5 હજાર જેટલાં ભાઈઓ તાલીમ લઈ પોતાનાં સીવણ વ્યવસાયમાં લાગેલ છે. સ્વાતંત્ર્ય સેનાની માનભાઈ ભટ્ટ ‘માનદાદા’ દ્વારા સિંચાયેલ આ સંસ્થાનાં વડા નાનકભાઈ ભટ્ટ દ્વારા અપાયેલ માહિતી મુજબ માત્ર તાલીમ નહીં, નિર્ધારિત લાયકાત ધરાવતાં બહેનોને અહીંયાથી સીવણ સામગ્રી પણ આપવામાં આવે છે. જેમાં 390 બહેનોને આ રીતે રૂપિયા 28 લાખ 15 હજારની સહાય લાભ મળ્યો છે અને પોતાનો સીવણ વ્યવસાય શરૂ કરેલ છે. ગાંધી વિચાર સાથે રહેલ ઉદ્યોગપતિ મણિલાલ છગનલાલ બક્ષી અને સ્વર્ગસ્થ લીલીબેન દવેનાં પરિવારના સહકાર સાથે આજે આ તાલીમ વર્ગમાં 45 જેટલાં સંચા ઉપર બહેનો તાલીમ લાભ લઈ રહેલ છે. ધીરજલાલ દેસાઈ પરિવારના સહકારથી કોઈંબતૂર અને મુંબઈથી બિનઉપયોગી જેવાં કાપડનો જથ્થો મળતાં લાખોની સંખ્યામાં થેલીઓ સીવીને રોજગારી પ્રાપ્ત કરી છે. આમ, સીવણ વર્ગ તાલીમમાં સાથે કપડાંનાં બિન ઉપયોગી ટુકડાઓમાંથી વિશિષ્ટ સુશોભન સામગ્રી તેમજ આકર્ષક થેલીઓનું નિર્માણ થઈ રહ્યું છે. ઉત્તરાયણ ઉપર પતંગની દોરીથી થતાં અકસ્માતો સામે ગળા ઉપર પહેરવાનાં પટ્ટાઓ પણ બનાવવામાં આવે છે, જે સુરક્ષા માટેના આવા પટ્ટાઓ બનાવવામાં આવે છે, વિવિધ સંસ્થા સંગઠનો દ્વારા શિશુવિહારની આ સ્વનિર્ભર અભિયાનની સીવણ તાલીમ સંદર્ભે સહયોગ પ્રાપ્ત થતો રહ્યો છે, તો બુનિયાદી શાળાઓમાં બહેનોને આ તાલીમ માટે 80 થી વધુ સીવણ સંચા અપાયા છે. સ્વદેશી, સ્વનિર્ભર કે આત્મનિર્ભર વગેરે અભિયાનો અત્યારે સમગ્ર દેશમાં તેજ ગતિથી ચાલી રહેલ છે, જે વર્ષોથી અહીંયા ચાલી રહેલ છે. આ પ્રવૃત્તિનાં માર્ગદર્શક ઈન્દિરાબેન ભટ્ટના નેતૃત્વ સાથે તાલીમ અને સ્વરોજગારીની તક ઉપલબ્ધ થઈ રહેલ છે. આ માટે ગુલાબબેન ગોહિલ તાલીમ આપી રહ્યાં છે અને અહીંયા વિશિષ્ટ કૌશલ્ય તાલીમ પ્રીતિબેન ભટ્ટ દ્વારા મળી રહેલ છે. વર્ષ 2025 અંતર્ગત રુદ્રબાળાબેન મહેતાના સહયોગ સાથે સીવણ તાલીમ વર્ગમાં બહેનો પોતાનું કૌશલ્ય ખીલવી રહેલ છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *