ભરૂચમાં જોષી પરિવારની નર્મદા પરિક્રમાવાસીઓ માટે સાત પેઢીથી સેવા:મંગલેશ્વર ગામમાં નિઃશુલ્ક ભોજન, રહેઠાણ અને અન્ય સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવે છે

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામમાં જોષી પરિવાર નર્મદા પરિક્રમાવાસીઓ માટે સાત પેઢીથી નિઃશુલ્ક સેવા પૂરી પાડી રહ્યો છે. આ પરિવાર પરિક્રમાવાસીઓને ભોજન, રહેઠાણ અને અન્ય સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવે છે. આ સેવા તેમના પૂર્વજો દ્વારા શરૂ કરાઈ હતી અને આજે પણ અવિરત ચાલુ છે. પરિવારના વડીલ કમળાબેન જોશી અને જ્યોતિબેન જોશીના જણાવ્યા અનુસાર, આ સેવા તેમને પૂર્વજો પાસેથી વરદાન રૂપે મળી છે. તેઓ કોઈ પાસેથી દાન સ્વીકારતા નથી અને પરિક્રમાવાસીઓના આશીર્વાદને જ તેમની તાકાત માને છે. આ પરિવારના ચાર માસી-ભાણેજોએ આ સેવા માટે લગ્ન ન કરવાનો સંકલ્પ લીધો છે. તેઓ ખેતી કરીને પરિક્રમાવાસીઓની સેવા માટે જરૂરી તમામ વ્યવસ્થા પોતાના સ્ત્રોતથી જ પૂરી પાડે છે. નર્મદા પરિક્રમા દરમિયાન જોષી પરિવાર દિવસ-રાત પરિક્રમાવાસીઓની સેવામાં તત્પર રહે છે. કોઈપણ સમયે આવતા પરિક્રમાવાસીઓને ઘર જેવું સન્માન અને ભોજન અપાય છે. દરરોજ સરેરાશ 200થી વધુ ભાવિકો માટે ચા-નાસ્તો અને બંને સમયનું ભોજન તૈયાર કરવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે. નિવૃત્ત આચાર્ય જ્યોતિબહેન પોતે રસોડાથી લઈને સેવા કાર્ય સુધીની દરેક કામગીરીમાં પરિવાર સાથે ખભેખભો મિલાવીને કાર્યરત રહે છે. જોષી પરિવારનો આ સેવા યજ્ઞ આજે સાતમી પેઢી સુધી જીવંત છે. પરિક્રમા કરવા આવતા ભાવિકો જણાવે છે કે, “પરિક્રમાની થાકેલી યાત્રામાં, મંગલેશ્વરના જોષી પરિવારનું ઘર નર્મદાની મમતા જેટલું પ્રસન્નતાદાયક લાગે છે.” આ સેવા પરંપરા માત્ર ભોજન કે રહેવાની વ્યવસ્થા પૂરતી સીમિત નથી. આજના યુગમાં જ્યાં લોકો પોતાના જીવનમાં વ્યસ્ત છે, ત્યારે મંગલેશ્વરના આ કુટુંબે સાત પેઢીઓ સુધી “નર્મદા પરિક્રમાવાસીઓની નિઃસ્વાર્થ સેવા”નો સંકલ્પ જાળવી રાખ્યો છે. આ પરિવાર સાબિત કરે છે કે શ્રદ્ધા, સમર્પણ અને માનવતા હોય તો અનેક પેઢીઓ સુધી એક જ દીવો પ્રગટ રાખી શકાય છે. આ સેવામાં ગામના અને આસપાસના લોકો પણ સવાર-સાંજ જોડાયેલા રહે છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *