ગઢડા APMC છેલ્લા બે દિવસથી બંધ હોવાના મામલે ગઢડા કોંગ્રેસના કાર્યકરોએ મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું છે. કોંગ્રેસે યાર્ડ તાત્કાલિક શરૂ કરવાની માગ કરી છે. યાર્ડ બંધ હોવાને કારણે ખેડૂતોને પોતાની જણસી વેચવા માટે 20 કિલોમીટર દૂર ઢસા જવું પડે છે, જેનાથી તેમને ભારે હાલાકી ભોગવવી પડે છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે APMCના સત્તાધીશોએ પોતાના સ્વાર્થ માટે યાર્ડ બંધ રાખ્યું છે. ગઢડા નગરપાલિકાના વિપક્ષ નેતા મીતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે યાર્ડના વહીવટદારો પોતે જ કમિશન એજન્ટ હોવાથી વેપારીઓને ઊંચું કમિશન પોસાતું નથી, જેના કારણે વેપારીઓ વેપાર કરતા નથી. કોંગ્રેસે જૂના કમિશન એજન્ટોની જગ્યાએ નવા કમિશન એજન્ટો મૂકવાની પણ માગ કરી છે. જો યાર્ડ તાત્કાલિક શરૂ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બીજી તરફ, યાર્ડના વહીવટદારોએ સ્પષ્ટતા કરી છે કે યાર્ડમાં કુલ પાંચ વેપારી છે, જેમાંથી ત્રણ વેપારીઓ રજા પર હોવાથી યાર્ડ બંધ રહ્યું હતું. તેમણે એકાદ દિવસમાં યાર્ડ ફરી શરૂ થવાની ખાતરી આપી છે.
ગઢડા APMC બંધ: કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર આપ્યું:યાર્ડ તાત્કાલિક શરૂ કરવા અને નવા કમિશન એજન્ટો મુકવાની માગ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
