
એક સમયે સુરત વિશ્વમાં ખાણીપીણી માટે વિખ્યાત હતું જેના કારણે સુરતનું જમણ અને કાશીનું મરણ કહેવત પણ પડી છે. પરંતુ આ કહેવત હવે સુરત માટે વ્યંગ જેવી બની ગઈ છે. ખાણીપીણી માટે વિશ્વ વિખ્યાત રહેલું સુરત શહેર હવે ભેળસેળયુક્ત ડેરી પ્રોડક્ટનું હબ બની રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના છેલ્લા એક વર્ષના આંકડા જોઈ ભલભલા પનીર- ચીઝના શોખીન સુરતીઓ ડેરી પ્રોડક્ટ ખાવાનું જ છોડી દે તેવા છે. છેલ્લા એક વર્ષમાં અધધધ એટલે કે 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી લેબોરેટરીમાં સાબિત થઈ ગઈ છે અને એક જ વર્ષમાં ધી, પનીર, તેલ, માખણ, એનાલોગ ચીઝ, મીઠો માવો સહિતનો 1.96 કરોડનો જથ્થો સીઝ કરવામા આવ્યો છે.
