
Surat Corporation : સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના ત્રણ ટીપી સ્કીમમાં રાજકીય કાવાદાવાના કારણે અચાનક રહેણાંક મિલકત પર મુકાયેલા રિઝર્વેશનનો અવાજ હવે દિલ્હી સુધી પહોંચ્યો છે. દિલ્હી ખાતેની અસરગ્રસ્તોની ફરિયાદ બાદ સરકારે ફીડબેક કોલ કર્યો હતો. જેમાં અસરગ્રસ્તે કરેલી રડતી અપીલનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. અસરગ્રસ્તે સરકારને ફીડબેક આપતા કહ્યું હતું કે જાત કમાઈથી લીધેલા મકાન પર અચાનક રિઝર્વેશન મુકાયું છે જો તે નહીં હટે તો આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સુરતના કતારગામ વિસ્તારમાં અમલમાં આવેલી ત્રણ ટીપી સ્કીમમાં રહેણાંક મિલકત પર મુકાયેલા રિઝર્વેશનના પગલે સ્થાનિક રહીશો વચ્ચે ભારે ગભરાટ ફેલાયો છે. વર્ષોથી કાયદેસર રીતે ઉભેલા મકાન પર અચાનક રિઝર્વેશન મુકાતા અસરગ્રસ્તોએ કોર્પોરેટર, મેયર, ધારાસભ્ય, સાંસદ, વડાપ્રધાન તેમજ રાષ્ટ્રપતિ સુધી રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ નિકાલ ન આવતા લોકોમાં રોષ અને નિરાશા બંને વધતી જાય છે.
