
Vadodara : વડોદરામાં આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે શિવજી કી સવારી સહિત 23 મોટા કાર્યક્રમો યોજાનાર હોવાથી તેમજ ભારત પાકિસ્તાન મેચ અને અમિત શાહના કાર્યક્રમને અનુલક્ષીને 5,000 જેટલી પોલીસ તૈનાત રાખવામાં આવી છે.
તા 15મી એ રવિવારે બપોરે અઢી વાગે શિવજી કી સવારી રણમુક્તેશ્વર પ્રતાપ નગર ખાતેથી નીકળી ચાર દરવાજા, ન્યાય મંદિર થઈને રાત્રે 10:30 વાગે કૈલાશપુરી ખાતે પહોંચશે. આ સવારીમાં હજારો લોકો જોડાતા હોવાથી અને સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થતી હોવાથી પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અર્ધલશ્કરી દળો તેમજ સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ, મહિલા પોલીસ અને જુદી-જુદી એજન્સીઓને બંદોબસ્ત માટે જવાબદારી સોંપી છે.

