
Ahmedabad News: અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના દુર્ગી ગામે આજે શનિવારે એક મોટી જનસભા યોજાઈ હતી, જેમાં નળસરોવરની આસપાસ આવેલા 12થી વધુ ગામના લોકો એકઠા થયા હતા. તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા નળસરોવર વિસ્તારમાં માછીમારી તેમજ અન્ય ધંધાકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી ટકોર કરવામાં આવી હતી, જે મુદ્દે 12 ગામના લોકોએ નારાજગી વ્યક્ત કરી મુખ્યમંત્રી રજૂઆત કરી છે.
નળસરોવરની આસપાસ આવેલા દુર્ગી, મેની, વેકરીયા, દેવથળ, શિયાળ, રાણાગઢ, કઠેચી અને શાહપુર જેવા અનેક ગામોના હજારો લોકોની રોજીરોટી આ સરોવર પર નિર્ભર છે. આ વિસ્તારમાં મુખ્યત્વે પઢાર આદિવાસી સમાજ વસવાટ કરે છે, જેમનો પેઢીઓ જૂનો મુખ્ય વ્યવસાય માછીમારી, જીતોલા અને થેગ કાઢવા તેમજ પશુપાલન છે. કોર્ટની ટકોર બાદ વન વિભાગે માછીમારી સાથે સંલગ્ન અન્ય પ્રવૃતિઓ પણ અટકાવી દીધી હોવાનો આરોપ છે.
