
મંદિર પરીસરમાં નીકળી ભગવાન ભોળાનાથની પાલખી યાત્રા, વેરાવળમાં યોજાઇ શિવજીની શોભાયાત્રા
જગપ્રસિદ્ધ સોમનાથ મંદિરે એક દિવસમાં ૬૮ ધ્વજારોહણ, ૨૦૭૭ રૂદ્રાભિષેક અને ૧૦૮ સોમેશ્વર મહાપુજા સહિતના આયોજનો, ચાર પ્રહરની મહાપુજાનો દેશ-વિદેશના ભક્તોએ લાભ લીધો
વેરાવળ: જગપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આજે હજારો દર્શનાર્થીઓએ ભગવાન ભોળાનાથના ચરણોમાં શીશ ઝુકાવી વિશ્વશાંતીની ભાવના વ્યક્ત કરી હતી. દર વર્ષની માફક આજે અનેક શ્રદ્ધાળુ ભાવિકો સોમનાથ, વેરાવળ, સુત્રાપાડાથી પગપાળા દેવાધિદેવના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. ચાર પ્રહરની પુજા સાથે આખી રાત મહાપુજા ચાલતી રહી હોવાને લીધે અંદાજે ત્રણ લાખ ભાવિકોએ મહાશિવરાત્રી પર્વના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.
