મીઠાઇ-આઇસ્ક્રીમ ખાદ્યા બાદ લોકોની તબિયત બગડી હતી અને બીમાર લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ઘટનાને પગલે માતરના MLA પણ ગામમાં દોડી આવ્યા છે અને ઉચ્ચ અધિકારીઓએ પણ સ્થિતિનો તાગ મેળવ્યો છે, આરોગ્ય વિભાગની ટીમોએ ઘરે-ઘરે જઇ સર્વે હાથ ધર્યો.
શંકાસ્પદ ખોરાકના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલાયા
ખેડાના સિંજીવાડા ગામમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે જેમાં ગ્રામજનો મૂજબ લગ્નમાં ભોજન સમારંભ બાદ અંદાજે 100થી 120 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, એકસાથે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા ગામના ક્લિનિકો દર્દીઓથી ઉભરાયા. અને ઘટનાની ગંભીરતા જોતા માતરના ધારાસભ્ય તાત્કાલિક ગામમાં દોડી ગયા હતા અને જિલ્લા આરોગ્ય અધિકારી વી.એ.ધ્રુવે અને નાયબ મામલતદાર, આરોગ્યના કર્ણમચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓએ ગામમાં પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આખા ગામમાં ઘરે-ઘરે જઈને સરવે કરાયો
અસરગ્રસ્ત તમામ લોકોને આરોગ્યની ટીમ દ્વારા સ્થળ પર જ જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી અને તબિયત વધુ નાજુક જણાતા અન્ય હોસ્પિટલમાં રીફર કરાયેલા 5 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ. હાલમાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિને નિયંત્રણમાં કરી લેવાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ ખોરાકના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલાયા છે.
ખોરાક ક્યારે બગડે છે?
જ્યારે તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે. કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે 37 ડિગ્રીથી વધુ તાપમાન બેક્ટેરિયાને મારી શકે છે. ફૂડ પોઈઝનિંગના લક્ષણો ડોક્ટરના જણાવ્યા મુજબ, કોઈપણ વસ્તુ ખાધા પછી પેટમાં તીવ્ર દુખાવો, ઉલ્ટી, અપચો, માથાનો દુખાવો, અતિશય થાક, નબળાઈ અને તાવ જેવા કોઈપણ લક્ષણો ફૂડ પોઈઝનિંગના લક્ષણો હોઈ શકે છે. ફૂડ પોઈઝનિંગ કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ આ સમસ્યાઓ બાળકોમાં વધુ જોવા મળે છે.
ફૂડ પોઇઝનિંગ એક પ્રકારનો ચેપ
ફૂડ પોઈઝનિંગ એક પ્રકારનો ચેપ છે જે બેક્ટેરિયા અને વાયરસ દ્વારા ફેલાય છે. જ્યારે બેક્ટેરિયા ધરાવતો ખોરાક ખાવામાં આવે છે, ત્યારે આ બેક્ટેરિયા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને બહાર કાઢે છે. તે પાચનક્રિયાને બગાડે છે. મોટાભાગના ફૂડ પોઈઝનિંગ ગંદા પાણી પીવાથી, એક્સપાયર થયેલ પેકેજ્ડ ફૂડ, ખૂબ લાંબો સમય રાંધવામાં આવેલો ખોરાક ખાવાથી થતા હોય છે. જ્યારે તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે.
ઉનાળામાં ફૂડ પોઇઝનિંગ સૌથી વધુ થાય છે
ઉનાળાની ઋતુમાં ફૂડ પોઇઝનિંગના મામલા વધુ સામે આવતા હોય છે. ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.ઉનાળાની ઋતુમાં હવા સાથે બેક્ટેરિયા પણ આવે છે અને તે પોતાની સાથે અનેક પ્રદૂષકો પણ લાવે છે. જેના કારણે ક્યારેક આપણી રોગપ્રતિકારક શક્તિ પણ બગડી જાય છે. ઉનાળામાં જો ખોરાક તરત જ ન ખાવામાં આવે તો તે ઝેરી પણ બની શકે છે અને બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી વધે છે.
