અમરેલીના સાવરકુંડલામાં તીક્ષ્ણ હથિયાર વડે 4 સંતાનની માતાની હત્યાની ઘટના સામે આવી છે. મૃતકનો પતિ પરેશ નિમાવત બાળકોને લઇ ફરાર થઇ ગયો છે. પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, અમરેલીમાં સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામે 32 વર્ષીય પરણીતાની હત્યાની ઘટના સામે આવી છે. વહેલી સવારે કે મધરાતે પત્નીની તિક્ષણ હથિયાર વડે હત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. ત્રણ દીકરીઓ અને એક દીકરાની માતાની હત્યાની ઘટનાને પગલે નાનકડા ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બાળકોને લઈને પરણીતાનો પતિ ફરાર થઈ જતા શંકાની સોય પતિએ હત્યા કરી હોવાનું અનુમાન છે.
પતિ પરેશ નિમાવત અને મૃતક પત્ની આશા નિમાવત ખડકાળા ગામે વૃદ્ધોને જમાડવાનું કામ કરતા હતા. આ રસોઈ ઘર ચલાવવા માટે ગ્રામજનો તેમને રૂ.11000 જેવું વેતન આપતા હતા. પરેશ નિમાવત મૂળ લીલીયા તાલુકાના પુંજાપાદર ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. તિક્ષણ ઘા મારીને આશાબેનની હત્યા અંગે ગ્રામજનોએ તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ અને અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને એફએસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તાલુકા પોલીસે પંચનામું કરી આશાબેન ના મૃતદેહને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલે પીએમ માટે ખસેડ્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
