અમદાવાદ શહેર અને આસપાસના મુખ્ય માર્ગો પર રખડતાં પશુઓનો ગંભીર ત્રાસ સતત વધી રહ્યો છે. શહેરના અત્યંત વ્યસ્ત અને ધમધમતા એસ.જી. હાઇવે પર અડાલજ નજીક રખડતાં પશુઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. હાઇવેના મુખ્ય માર્ગ પર જ પશુઓએ અડિંગો જમાવી લેતાં આંતરરાજ્ય અને સ્થાનિક વાહનવ્યવહાર પર તેની સીધી અસર પડી રહી છે.
વાહનચાલકોની સુરક્ષા સામે જોખમ અને ટ્રાફિક જામ
મુખ્ય માર્ગો પર વચોવચ પશુઓ બેસી રહેવાના કારણે ખાસ કરીને રાત્રિના સમયે અને ઝડપથી આવતા વાહનો માટે ભારે અકસ્માત સર્જાવાનો ભય ઊભો થયો છે. અનેકવાર અચાનક પશુઓ સામે આવી જતાં વાહનચાલકોએ અચાનક બ્રેક મારવી પડે છે, જેનાથી નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. હાઇવે પરથી પસાર થતાં હજારો વાહનચાલકોને રોજના ક્રમે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

તંત્રની કામગીરી સામે ઉઠતા સવાલો
તંત્ર દ્વારા રખડતાં પશુઓને પકડવા અને માલિકો સામે કડક કાર્યવાહી કરવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. હાઇવે જેવા અત્યંત ઝડપી માર્ગો પર પણ પશુઓનો આ રીતે અડિંગો હોવા છતાં જવાબદારો દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં નથી. સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો ઉગ્ર માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પશુઓને હટાવીને માર્ગ સુરક્ષિત બનાવવામાં આવે.
