શહેરના સૌથી વ્યસ્ત ગણાતા ગીતામંદિર એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન આસપાસના તમામ રસ્તાઓ હાલ કાયદાના પાલન વગરના મુક્ત વિસ્તાર બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અહી ઓટોરિક્ષા ચાલકો આખા રસ્તાને પોતાની જાગીર સમજી ગમે તેમ વાહનો પાર્ક કરી રહ્યા છે, જેના કારણે આખો દિવસ ભારે ટ્રાફ્કિ જામની સમસ્યા રહે છે.
મહત્વનું છે કે ટ્રાફ્કિના નિયમ મુજબ આ વિસ્તારના રસ્તાઓ વન-વે જાહેર કરાયેલા છે. તેમ છતાં ઓટોરિક્ષા ચાલકો ટ્રાફ્કિ પોલીસની બિલકુલ નજર સામે જ બેફામપણે રોંગ સાઈડમાં રિક્ષાઓ હંકારી રહ્યા છે. આ બેદરકારીને કારણે અહી દરરોજ ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
ઓટોરિક્ષાના ત્રાસ ઉપરાંત, મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ ખાતાની કથિત રહેમનજર હેઠળ રસ્તાઓ પર વ્યાપક પ્રમાણમાં લારી-ગલ્લાના અતિક્રમણો ખડકાઈ ગયા છે. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા આખરે વાહનચાલકો અને પગપાળા ચાલતા રાહદારીઓએ ભારે હાલાકી ભોગવવી પડે છે.
સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો દ્વારા ટ્રાફ્કિ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્ર હવે ઊંઘમાંથી જાગીને આ વિસ્તારમાં કડક હાથે ટ્રાફ્કિ નિયમન કરાવે અને અરાજકતા ફેલાવતા રિક્ષાચાલકો તથા ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી કરે તેવી જાહેર જનતાની ઉગ્ર માંગ છે.
