અમદાવાદ જિલ્લામાં દસ્ક્રોઈ તાલુકાના અસલાલી પાસેથી પસાર થતી ખારીકટ કેનાલમાં રાત્રિના સમયે કેમિકલયુક્ત ગંદુ પાણી છોડાતું હોવાના આક્ષેપથી ચકચાર મચી છે. સ્થાનિક આગેવાનો તથા જાગૃત નાગરિકોએ પ્રદૂષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી આવા કૃત્યને તાત્કાલિક અટકાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
કેટલાક લોકો દ્વારા રાત્રિના આશરે બે વાગ્યાથી વહેલી સવાર સુધી ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ કેનાલ આગળ જતાં અનેક ગામોના વિસ્તારોમાંથી પસાર થાય છે, જ્યાં ખેડૂતો સિંચાઈ માટે કેનાલના પાણીનો ઉપયોગ કરે છે. આવા પાણીથી ખેતી કરવામાં આવતા પાકમાં પ્રદૂષિત તત્વો ભળવાની શક્યતા અંગે સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બાદમાં આ શાકભાજી, અનાજ સહિતના કૃષિ ઉત્પાદનો બજારમાં પહોંચતા લોકોના આરોગ્યને પણ અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર રાત્રિના સમયે કેનાલમાં ગંદુ પાણી છોડાતું હોવાનો વીડિયો વાયરલ થતાં મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. જાગૃત નાગરિકોએ પ્રદૂષણ વિભાગને તપાસ કરી જવાબદાર ઈસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.
