ગુજરાતમાં ચોમાસાની અંતિમ ઘડીઓ ચાલી રહી છે ત્યારે મેઘરાજાએ વિદાય પૂર્વે રાજ્યભરમાં ધમાકેદાર હાજરી નોંધાવી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઘોબા, પીપરડી અને મોટા ભમોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ તોફાની વરસાદ વરસ્યો હતો. ખેતરોમાંથી વરસાદી પાણી વહી નીકળ્યા હતા, જેનાથી ખાસ કરીને કપાસ, મગફળી અને સોયાબીનના પાકને મોટો ફાયદો થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. બગસરાના પઠડીયા ગામમાં વરસાદ વચ્ચે સેલડીયા પરિવારના માતાજીના મંદિર પર વીજળી ત્રાટકી હતી, જેમાં સામાન્ય નુકસાન થયું હતું પરંતુ નદીઓમાં નવા નીર આવતાં હરખની હેલી છવાઈ છે.
ગુજરાતમાં મેઘરાજાની વિદાય પૂર્વે તોફાની બેટિંગ
બીજી તરફ, રાજકોટના જસદણ શહેરમાં માત્ર 30 મિનિટની અંદર એક ઇંચથી વધુ વરસાદ પડી જતાં ચિતલીયા રોડ, નવા બસ સ્ટેશન અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આટકોટ, જંગવડ, ભડલી, સાણથલી સહિતના વિસ્તારોમાં લાંબા 40 દિવસના વિરામ બાદ મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી હતી. આ ઉપરાંત બોટાદના ગઢડા, ઢસા, પાટણા, ભાવનગરના મહુવા ટાઉન અને ધોરાજીમાં પણ ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
2 થી4 દિવસમાં ચોમાસું લેશે વિદાય!
દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે સુરતમાં વહેલી સવારના અસહ્ય ઉકળાટ બાદ બપોરે હવામાન પલટાયું હતું. સુરતના પાલ, અડાજણ, રાંદેર, અઠવાલાઇન્સ, વેસુ અને પીપલોદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી. ભરૂચના જંબુસરમાં ધોધમાર વરસાદ હોવા છતાં ‘શ્રીજી’ને વિદાય આપવા ગણેશ ભક્તોનો ઉત્સાહ બેવડાયો હતો અને ઢોલ-નગારા તથા ડીજેના તાલે ગણેશ વિસર્જન યાત્રા ધામધૂમથી નીકળી હતી. અમદાવાદના વસ્ત્રાપુર અને ગુરુકુળ વિસ્તારોમાં પણ તેજ પવન સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો.
સૌરાષ્ટ્ર, સુરત અને અમદાવાદમાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગે ચોમાસા અંગે મોટું અપડેટ આપતાં જણાવ્યું છે કે, આગામી 2 થી 4 દિવસમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લેવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. હાલ લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે દક્ષિણ ગુજરાત અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં બે દિવસ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં દમણમાં 64 મિમી અને ખેડામાં 61 મિમી વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: Ahmedabad: શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ; વાતાવરણમાં પ્રસરી ઠંડક
